અવારનવાર વિવાદમાં રહેતી સુરતની સ્મીમેર હોસ્પિટલ એકવાર ફરી વિવાદમાં આવી છે. હોસ્પિટલના ગાર્ડનમાં દારૂની ખાલી બોટલો મળી આવતા હોસ્પિટલની સિક્યુરિટી પર સૌથી મોટો સવાલ ઉઠ્યો થયો છે.
સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરીવાર વિવાદમાં આવી
હોસ્પિટલના ગાર્ડનમાંથી મળી આવી દારૂની ખાલી બોટલો
સ્મીમેર હોસ્પિટલની સિક્યુરિટી પર સવાલ ઉઠ્યો
સુરતની સ્મીમેર હોસ્પિટલ અવારનવાર કોઇને કોઇ કારણોસર વિવાદમાં આવતી જ રહે છે. ત્યારે એકવાર ફરી સુરતની સ્મીમેર હોસ્પિટલના પરિસરમાંથી દારૂની બોટલો મળી આવતા હોસ્પિટલ વિવાદમાં આવી છે. હોસ્પિટલના ગાર્ડનમાં દારૂની ખાલી બોટલો મળી આવતા ભારે ચકચાર મચી ગઇ છે. સાથે હોસ્પિટલના તંત્ર પર પણ અનેક સવાલો ઉભા થયા છે. સ્મીમેર હોસ્પિટલની સિક્યુરિટી પર પણ સવાલ ઉભા થયા છે. હોસ્પિટલના ગાર્ડનમાંથી દારૂની ખાલી બોટલો મળી આવ્યાનો વીડિયો સામે આવતા ભારે હડકંપ મચી ગયો છે.
સળગતા સવાલો
જો કે, અવારનવાર વિવાદમાં રહેતી હોસ્પિટલના ગાર્ડનમાંથી આ રીતે ખુલ્લેઆમ દારૂની ખાલી બોટલો મળી આવતા અનેક સવાલો ઉભા થાય છે. જેમ કે, આખરે આ હોસ્પિટલ સુધી દારૂની બોટલો કેવી રીતે પહોંચી? શું હોસ્પિટલના કર્મચારીએ જ દારૂ પીધો છે? દારૂમુક્ત ગુજરાતમાંથી આખરે કેમ વારંવાર દારૂ મળી આવે છે? પોલીસ દાખલારૂપ કાર્યવાહી કેમ નથી કરતી? શું પોલીસ અને બુટલેગર વચ્ચે કોઇ સાંઠગાંઠ છે?
દર્દીઓ પાસેથી જુદા જુદા-ચાર્જ વસૂલાતા હોવાની ઘટના સામે આવી હતી
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સ્મીમેર હોસ્પિટલ વિવાદમાં આવી હતી. સ્મીમેરમાં દર્દીઓ પાસેથી જુદા જુદા-ચાર્જ વસૂલાતા હોવાની ઘટના સામે આવી હતી. જેના કારણે દર્દીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. સ્મીમેરની કેસ બારી પરથી રૂપિયા 15ના બદલે 20 રૂપિયાની વસૂલાત કરવામાં આવી રહી છે. જેને લઇને ભારે વિવાદ સર્જાયો હતો. હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી કેસ પેપરના અલગ-અલગ ચાર્જ વસૂલાતા તંત્ર સામે પણ અનેક સવાલ ઉઠ્યા હતાં.
તબીબે વેન્ટિલેટર પર સપોર્ટ જીવિત દર્દીને મરણ ઘોષિત કરી દીધો હતો.
એ સિવાય એકાદ મહિના અગાઉ સ્મીમેર હોસ્પિટલની એક ગંભીર બેદરકારી સામે આવી હતી. જેમાં હોસ્પિટલના ICUના તબીબે વેન્ટિલેટર પર સપોર્ટ જીવિત દર્દીને મરણ ઘોષિત કરી દીધો હતો. જ્યાર બાદ જીવિત દર્દીની તબીબે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે દર્દી મરણ પામ્યાની વર્ધી લખાવી હતી. જો કે, 6 કલાક બાદ જીવિત દર્દીનું મોત થયું હતું.
અગાઉ સ્મીમેરમાં ખુલ્લેઆમ ફરતા શ્વાનનો થયો હતો વીડિયો વાયરલ
આ અગાઉ સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓના વેઈટિંગ એરિયામાં શ્વાન ફરતા હોવાનો પણ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં હોસ્પિટલના તંત્રને જાણે કે આંખે અંધાપો આવી ગયો હોય તેમ દર્દીઓના વેઈટિંગ એરિયા સુધી શ્વાન આવી ચડ્યા હોવા છતાં જવાબદારો દ્વારા શ્વાનને અટકાવવાની તસ્દી લેવામાં નથી આવતી. ન કરે ને કદાચ હોસ્પિટલમાં શ્વાન આતંક મચાવી દર્દીઓને ફાડી ખાય તો જવાબદારી કોની?