2022નું વર્ષ નોકરીયાત વર્ગ માટે ઉજળુ બની રહેવાનું છે. કારણ કે ઘરેલુ કંપનીઓ તેના કર્મચારીઓના પગારમાં 9.9 ટકા વધારો કરશે તેવું રિપોર્ટમાં જણાવાયું છે.
2022નું વર્ષ નોકરીયાત વર્ગ માટે ઉજળું બનશે
ઘરેલુ કંપનીઓ કર્મચારીઓના પગારમાં 9.9 ટકા કરશે વધારો
ગ્લોબલ પ્રોફેશનલ સર્વિસ ફર્મ એઓનનું તારણ
પગારદાર વર્ગ માટે ખુશીના મોટા સમાચાર છે. મહામારીમાં લોકોને નોકરી છોડતા અટકાવવા તથા આર્થિક સદ્ધરતા સારી થતા કંપનીઓ આ વર્ષ તેના કર્મચારીઓના પગારમાં 9.9 ટકાનો વધારો કરવા જઈ રહી છે. વિદેશી કંપનીએ આ જાણકારી જાહેર કરતા કર્મચારીઓના ખુશીનો માહોલ ઊભો થયો છે. આ વર્ષે ભારતની ઘરેલુ કંપનીઓ તેના કર્મચારીઓના પગારમાં જે વધારો કરવાની છે તે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધારે છે. આ પહેલા 2016માં કર્મચારીઓને 10.2 ટકા પગાર વધારો મળ્યો હતો. ગયા વર્ષે 2021માં કર્મચારીઓના પગારમાં 9.3 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.
વૈશ્વિક પ્રોફેશનલ સર્વિસ કંપની એઓને જાહેર કર્યું
વૈશ્વિક પ્રોફેશનલ સર્વિસ કંપની એઓને પોતાના 26માં વેતન વધારાના સર્વેમાં કહ્યું કે, ભારતમાં આ વર્ષે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સહિત પાંચ દેશોના સમૂહ બ્રિક્સ (બ્રિક્સ)માં સૌથી વધુ પગાર વધારો થવાની આશા છે. ભારતની ઘરેલુ કંપનીઓ તેના કર્મચારીઓને 9.9 ટકા સુધીનો પગાર વધારો આપી શકે છે.
કયા ક્ષેત્રમાં સૌથી વધુ પગાર વધારો આવશે
ઇ-કોમર્સ સેક્ટરમાં આ વર્ષે સૌથી વધુ 12.4 ટકા વેતન વૃદ્ધિની અપેક્ષા છે. હાઈટેક/ઈન્ફોર્મેશન ટેકનોલોજી (આઈટી સેક્ટર)માં 11.6 ટકા અને પ્રોફેશનલ સર્વિસ સેક્ટરમાં 10.9 ટકાનો વધારો થવાની શક્યતા છે. આઇટી સક્ષમ સેવાઓમાં 10.7 ટકા, મેટલ અને માઇનિંગમાં 8.3 ટકા, રેસ્ટોરાંમાં 8.5 ટકા અને સિમેન્ટમાં 8.6 ટકાનો વધારો થવાની સંભાવના છે.
કંપનીઓ કેમ કરશે કર્મચારીઓના પગારમાં વધારો
કંપનીઓની નાણાકીય સ્થિતિમાં મજબૂત સુધારો અને બિઝનેસના સકારાત્મક સેન્ટિમેન્ટને કારણે કંપનીઓ ચાલુ વર્ષે વિક્રમી પગાર વધારો કરવા જઈ રહી છે. કંપનીઓ લડાયક કાર્યબળ ઊભું કરવા માટે નવા-યુગની ક્ષમતાઓમાં રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. મહામારીમાં નોકરી છોડવાનો દર ઝડપથી વધ્યો છે એટલા માટે કંપનીઓ પણ પોતાના નિષ્ઠાવાન અને કુશળ કર્મચારીઓને જાળવી માટે વેતન વધારાનો સહારો લઈ રહી છે.