ઇપીએફઓ નાણાકીય વર્ષ 2020-21 માટે કર્મચારી ભવિષ્ય નિધિ પરના વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે. ચાલો જાણીએ વિગતો.
ઇપીએફઓના કર્મચારીઓ માટે કામના સમાચાર
ઇપીએફઓ નાણાકીય વર્ષ 2020-21 માટે ઇપીએફ વ્યાજ દરની જાહેરાત કરી શકે છે
ઇપીએફઓ વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઇપીએફઓ) માર્ચ 2021ના પ્રથમ અઠવાડિયામાં નાણાકીય વર્ષ 2020-21 માટે ઇપીએફ વ્યાજ દરની જાહેરાત કરી શકે છે. ઇપીએફઓએ એક લેટર મોકલીને સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (સીબીટી)ને શ્રીનગરમાં 4 માર્ચ 2021ના રોજ યોજાનારી બેઠક અંગે જણાવ્યું છે. આ મીટિંગમાં ઇપીએફઓની કમાણી અને આર્થિક સ્થિતિની તપાસ કરવામાં આવશે. સાથે જ આ બેઠકમાં નાણાકીય વર્ષ 2020-21 માટેના વ્યાજદરની ઘોષણા કરવાના પ્રસ્તાવ પર પણ નિર્ણય લેવાની ધારણા છે.
પ્રોવિડન્ટ ફંડ પરના વ્યાજદર કેમ ઘટાડી શકાય છે
ઇપીએફઓના એક ટ્રસ્ટી કેઇ રઘુનાથને કહ્યું કે તેમને 4 માર્ચે શ્રીનગરમાં સીબીટીની આગામી બેઠક યોજાવાની માહિતી મળી છે. બેઠકનો એજન્ડા ટૂંક સમયમાં આવવાનો છે. જોકે, તેમણે કહ્યું કે મીટિંગની માહિતીથી સંબંધિત ઈ-મેલમાં વ્યાજના દર પર કોઈ ચર્ચા થવાનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. આ દરમિયાન એવી અટકળો કરવામાં આવી રહી છે કે ઇપીએફઓ નાણાકીય વર્ષ 2020-21 માટે કર્મચારી ભવિષ્ય નિધિ પરના વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે. તમને જણાવી દઈએ કેનાણાકીય વર્ષ 2019-20 માટે પ્રોવિડન્ટ ફંડ પરનો વ્યાજ દર 8.5 ટકા હતો. એવું માનવામાં આવે છે કે કોરોના સંકટની વચ્ચે, પીએફમાંથી વધુ ઉપાડ અને ઓછાં યોગદાનને કારણે વ્યાજ ઘટાડવાનો નિર્ણય લઈ શકાય છે.
2020માં 7 વર્ષમાં સૌથી ઓછું વ્યાજદર કરી નાખ્યું હતું
માર્ચ 2020માં ઇપીએફઓએ નાણાકીય વર્ષ 2019-20 માટે પ્રોવિડન્ટ ફંડ જમા પરના વ્યાજ દરને ઘટાડીને 8.5 ટકા કર્યો હતો. છેલ્લાં સાત વર્ષમાં આ સૌથી ઓછું વ્યાજ છે. અગાઉ 2012-13માં વ્યાજદર 8.5 ટકા હતો. નાણાકીય વર્ષ 2018-19માં પીએફ પર સબ્સ્ક્રાઇબર્સને 8.65 ટકા વ્યાજ મળતું હતું. ઇપીએફઓએ સબસ્ક્રાઈબર્સને2016-17ના પીએફ જમા રકમ પર પર 8.65 ટકા, 2017-18 માટે 8.55 ટકા અને 2015-16 માટે 8.8 ટકા વ્યાજ ચૂકવ્યું હતું. આ સાથે જ 2013-14માં પીએફ રકમ પર 8.75 ટકા વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું, જે નાણાકીય વર્ષ 2012-13 માટે 8.5 ટકાથી વધુ હતું.