ભારતના બેન્કિંગ સેક્ટરમાં એક મોટો ભૂકંપ લાવી શકે એવી હિલચાલ સામે આવી રહી છે. આગ્રાના એક 53 વર્ષીય ચશ્માની દુકાનના માલિક ગજેન્દ્ર શર્માએ બેન્ક પાસેથી 13,500 ડોલરની લોન લીધી હતી. હવે આ લોનની ભરપાઈ કોરોના મહામારીને પગલે થયેલા લૉકડાઉનને કારણે સમયસર કરી દેવી શક્ય નહોતી. એવા સંજોગોમાં ગજેન્દ્રએ RBIના 6 મહિનાના લોન મોરેટોરિયમ સ્કીમનો લાભ લીધો હતો.
'મોરેટોરિયમ' બન્યું મોટી મુશ્કેલી
6 મહિનાના હપ્તા ન ભરવા બદલ બેંક વ્યાજનું વ્યાજ વસૂલશે
મોરેટોરિયમને કારણે વધારાના રૂપિયા ચૂકવવા પડશે
હવે ગણતરી પછી ગજેન્દ્રને ખ્યાલ આવ્યો કે આ 6 મહિના હપ્તા ન ભરવા બદલ બેન્ક તેની પાસેથી વધારાનું વ્યાજ એટલે કે વ્યાજનું વ્યાજ વસૂલવા જઈ રહી છે. આ વધારે વ્યાજને પગલે તેને રાહત નહીં પણ વધુ નુકશાન થવા જઈ રહ્યું છે જે તેને આ આર્થિક સ્થિતિમાં પરવડે તેમ નથી.
અત્યારે ગજેન્દ્રએ ઉઠાવેલા આ મુદ્દાને દેશના વિવિધ રિયલ એસ્ટેટ ગ્રુપ, શોપિંગ મોલ્સ અને નાના ધંધાર્થીઓનું સમર્થન મળી રહ્યું છે. તેમનો દાવો છે કે આ સ્કીમથી તેમને ભારે આર્થિક બોજો સહન કરવો પડી રહ્યો છે અને દેશના ઉંધા માથે ગબડેલા GDPની પરિસ્થિતિમાં તેમણે તેમનો ધંધો બંધ કરી દેવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
મોરેટોરિયમને કારણે વધારાના રૂપિયા ચૂકવવા પડશે
એક ઉદાહરણથી સમજવા જઈએ તો આ વ્યાજનું વ્યાજ વસૂલવાથી 15 વર્ષ માટે 40,000 ડોલરની લોન ચુકવતો એક વ્યક્તિ આ મોરેટોરિયમને કારણે વધારાના 6000 ડોલર ચુકવશે. આ રકમ તેના લોનના પિરિયડમાં વધુ 16 મહિનાનો વધારો કરવા જેટલી છે. આવા ઘણા બધા કેસની સાથે 120 વકીલોની ટીમ અદાલતને એવો આગ્રહ કરી રહી છે કે દેશના તમામ મોરેટોરિયમના લાભાર્થીઓનું આ વ્યાજનું વ્યાજ રદ કરવામાં આવે જેથી તેમને રાહત મળે.
બેન્કોએ કહ્યું- જો આ ચક્રવુદ્ધિ વ્યાજ રદ્દ કરીશું તો બેંકોને પડશે ફટકો
હવે આવા માહોલમાં બેન્કોમાં ભારે ચિંતા પેઠી છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોક ભૂષણ પણ કર્જદારોના પક્ષમાં નિર્ણય કરવા માંગે છે. એવામાં બેન્કોએ પોતાની સ્થિતિ મુકતા કહ્યું છે કે જો આ ચક્રવૃદ્ધિ વ્યાજને રદ કરવામાં આવશે તો બેંકોને મરણતોલ ફટકો પડી શકે છે.
દેશના ધંધાર્થીઓની જેમ બેન્કો પણ મહામારનો શિકાર બની છે. બેન્કોની બેડ લોન્સ અને NPA વધતા જ જાય છે. હાલ ભારતની બેન્કોની 120 અબજ ડોલર બેડ લોન્સ છે જેમાંથી મોટાભાગની સરકારી કંપનીઓને લગતી છે. હવે એવામાં જો આ વ્યાજ પણ માફ કરવામાં આવે તો બેન્કોની કમર તૂટી જાય તેમ છે.
વ્યાજ માફ કરી દેવામાં આવે તો તેમાં અધધ 27 અબજ ડોલરનો ફટકો પડશે
ખાનગી અને સરકારી બેન્કોનો કુલ નફો વાર્ષિક આશરે 43 અબજ ડોલર છે. એવામાં આ વ્યાજ માફ કરી દેવામાં આવે તો તેમાં અધધ 27 અબજ ડોલરનો ફટકો પડે તેમ છે. આ રકમ દેશના GDPના 1% જેટલી છે. આ નિર્ણયથી દેશની બેન્કિંગ સિસ્ટમનું સંતુલન જોખમાય તેવી પરિસ્થિતિ છે. આ ઉપરાંત બેન્કોમાં 1.9 અબજ ડિપોઝિટ એકાઉન્ટ્સ પણ છે. અહીં ડિપોઝિટર્સ તેમના નાણાં ગુમાવે તેવી સ્થિતિ પણ થઇ શકે એમ છે. એવામાં હવે સુપ્રીમ કોર્ટ લેણદાર કે કર્જદાર કોના પક્ષમાં નિર્ણય લે છે તે જોવાનું રહ્યું છે.