એલન મસ્કે કાઢી મૂકેલા કર્મીઓને એવું કહેવામાં આવી શકે છે કે, તેઓને ભૂલથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને મેનેજમેન્ટને તેમના કામ અને અનુભવની જરૂર
ટ્વિટરની કમાન હાથ લેતા જ એલન મસ્કનો ફરી નવો યુ-ટર્ન
કર્મચારીઓને કાઢી મૂક્યા બાદ હવે પરત બોલાવશે
મેનેજમેન્ટને કાઢી મૂકેલા કર્મચારીઓના કામ અને અનુભવની જરૂર
ટ્વિટરની કમાન પોતાના હાથમાં લઈને ઉપરથી નીચે સુધી છટણીની તલવાર ચલાવનાર મસ્કને કદાચ પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો છે. મીડિયા અહેવાલો છે કે, મસ્કના આગમન પછી નોકરી ગુમાવનારા કેટલાક કર્મચારીઓને પુનઃસ્થાપિત કરવામાં આવી શકે છે. તે લોકોને એવું કહેવામાં આવી શકે છે કે, તેઓને ભૂલથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને મેનેજમેન્ટને તેમના કામ અને અનુભવની જરૂર છે.
આ બાબતથી પરિચિત લોકોના જણાવ્યા અનુસાર, જે લોકોને ટ્વિટર પર પાછા આવવા માટે કહેવામાં આવી રહ્યું છે તેમાંથી કેટલાકને અકસ્માતે ભૂલથી નીકળી દીધા હોવાનું કહેવાઈ રહ્યું છે. મેનેજમેન્ટને આ વાતની જાણ થઈ ત્યાં સુધીમાં તેમને નોકરીમાંથી કાઢી મૂકવા માટે ઈ-મેઈલ મોકલવામાં આવ્યા હતા. આ તરફ કેટલાક લોકોનું કહેવું છે કે એલન મસ્કના ટ્વિટરમાં નવા ફીચર્સ બનાવવા માટે એ લોકોનું કામ અને અનુભવ જરૂરી હોઈ શકે છે.
મીડિયા અહેવાલો અનુસાર, એલોન મસ્કના ટ્વિટરના અધિગ્રહણ પછી મેનેજમેન્ટે ખર્ચ ઘટાડવા અને કમાણી વધારવા માટે આ અઠવાડિયે ઈ-મેલ દ્વારા કર્મચારીઓને કાઢી મૂક્યા. ઘણા કર્મચારીઓને ઈ-મેઈલ દ્વારા ખબર પડી કે કંપનીએ તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. હવે મેનેજમેન્ટ દ્વારા કેટલાક કર્મચારીઓને પરત કરવાની વિનંતી દર્શાવે છે કે, છટણીની પ્રક્રિયા ખૂબ જ ઉતાવળમાં કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, ટ્વીટર પર આવતાની સાથે જ એલોન મસ્કે પહેલા ભારતીય મૂળના સીઈઓ પરાગ અગ્રવાલ સહિત ત્રણ ટોચના અધિકારીઓની છટણી કરી અને પછી એક પછી એક મોટી છટણી કરી. કંપનીના સમગ્ર બોર્ડને હટાવ્યા બાદ તેણે શુક્રવારે લગભગ 3700 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. આટલી મોટી છટણી બાદ હવે તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે અને તેણે યુ-ટર્ન લીધો છે.