ભાજપનો ગઢ માનવામાં આવતી અમદાવાદની એલિસબ્રિજ બેઠક પર કોંગ્રેસને 50 વર્ષથી જીત મળી નથી. આ બેઠક પર જીત મેળવવા માટે કોંગ્રેસે આ વખતે ખાસ તૈયારી કરી છે. કોંગ્રેસે ઉમેદવારનું નામ પણ જાહેર કરી દીધું છે.
ભાજપનો ગઢ માનવામાં આવે છે અમદાવાદની એલિસબ્રિજ બેઠક
મતદારોનો ઝુકાવ હંમેશા રહ્યો છે ભાજપ તરફ
એલિસબ્રિજ બેઠક પર બ્રાહ્મણ અને જૈન સમાજનો દબદબો
આ બેઠક પર કોંગ્રેસને 50 વર્ષથી નથી મળી જીત
ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો ચૂંટણી જંગ ખેલાશે. આપની એન્ટ્રીથી ભાજપ અને કોંગ્રેસના સમીકરણો બદલાઈ શકે છે. આમ આદમી પાર્ટી બન્નેના વોટ શેરિંગ પર અસર કરી શકે છે. આ વખતે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. ત્યારે અમદાવાદ જિલ્લાની એલિસબ્રિજ બેઠક પર 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. એલિસબ્રિજ બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 44મા નંબરની બેઠક છે. આ બેઠક અમદાવાદ જિલ્લામાં આવેલી છે. આ બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના 4 વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભાજપનો ગઢ માનવામાં આવે છે આ બેઠક
અમદાવાદની એલિસબ્રિજ બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. એલિસબ્રિજ બેઠક પર ભાજપ 45 વર્ષથી સતત જીતતું આવ્યું છે. 1972 બાદથી કોંગ્રેસ એલિસબ્રિજ બેઠક પર જીતથી વંચિત રહી છે. એલિસબ્રિજ બેઠક પર ભાજપના અનેક ઉમેદવારનો વિરોધ કરવામાં આવ્યો હોવા છતાં મતદારોનો ઝુકાવ ભાજપ તરફ હંમેશાની જેમ રહ્યો છે. એલિસબ્રિજ વિધાનસભામાં સતત ત્રણ ટર્મથી રાકેશ શાહ ધારાસભ્ય છે. વર્ષ 1995માં તત્કાલિન કોર્પોરેટર હરેન પંડ્યાને એલિસબ્રિજ સીટ પરથી ભાજપે ટિકિટ આપી હતી. તેમણે કોંગ્રેસના દશરથભાઇ પટેલને હરાવ્યા હતા. ત્યારથી આ બેઠક ભાજપ માટે અજય ગઢ બની રહી છે.
ગોધરાકાંડ બાદ યોજાયેલી ચૂંટણીમાં હરેન પંડ્યા આપી નહોતી ટિકિટ
અહીથી હરેન પંડ્યા 1995 અને 1998 એમ બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2002માં થયેલા ગોધરાકાંડ બાદ યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં હરેન પંડ્યાને ટિકિટ ન મળી. તેમને ટિકિટ ન મળવા પાછળનુ કારણ રાજકીય હતું. હરેન પંડ્યાની ટિકિટ કાપીને મોદીના જ એક સમયના સાથી એવા કોર્પોરેટર ભાવીન શેઠને ટિકિટ અપાઇ હતી.
આ વખતે હાઈકમાન્ડ લેશે ટિકિટ અંગે નિર્ણય
વર્ષ 2007, 2012 અને 2017માં સતત રાકેશ શાહને એલિસબ્રિજના મતદારોએ વિજયી બનાવ્યા હતા. આમ તો તેમની ઉંમર અત્યારે 60 વર્ષ છે, ભાજપે જે ધારાધોરણો નક્કી કર્યા કે 65 વર્ષ અને 4 ટર્મ ધરાવતા ધારાસભ્યને ટિકિટ ન આપવી. તેથી તેઓને હજુ એક તક આપવી કે કેમ તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ નક્કી કરશે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં એલિસબ્રિજ વિધાનસભા ક્ષેત્રથી નજીકના પ્રતિદ્વંદી વિજય દવે રહ્યાં હતા.
50 વર્ષથી કોંગ્રેસ છે જીતથી દુર
1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થયા બાદ, 1962માં ગુજરાતમાં ચૂંટણીઓ યોજાઈ હતી અને કોંગ્રેસના ઉમેદવાર એવા ઈન્દુમતી ચીમનલાલ પ્રથમ વખત ચૂંટણી જીત્યા હતા. 5 વર્ષ બાદ વર્ષ 1967માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર આર.કે.પટેલે કોંગ્રેસના ઉમેદવારને હરાવીને જીત મેળવી હતી. જો કે, વર્ષ 1972માં ફરી એકવાર આ બેઠક કોંગ્રેસને મળી હતી અને કોંગ્રેસના હરિપ્રસાદ વ્યાસ જીત્યા હતા. એલિસબ્રિજ વિધાનસભા સીટ પર કોંગ્રેસની આ બીજી અને છેલ્લી જીત હતી કારણ કે 1972ની જીત બાદ કોંગ્રેસ આ સીટ ક્યારેય જીતી શકી નથી. ત્યાર બાદ 1975થી 1990 સુધી અહીંથી અલગ-અલગ પાર્ટીઓના નેતાઓ જીત્યા. મતલબ કે છેલ્લા 50 વર્ષથી કોંગ્રેસ આ સીટ જીતી શકી નથી. વર્ષ 1995માં ભાજપના યુવા નેતા હરેન પંડ્યાએ 35 વર્ષની વયે ભાજપની ટિકિટ પર પહેલીવાર આ બેઠક જીતી હતી, ત્યારબાદ હરેન પંડ્યા 1998માં બીજી વખત ચૂંટણી જીત્યા હતા અને કેશુભાઈ પટેલની સરકારમાં ગૃહમંત્રી પણ બન્યા હતા.
એલિસબ્રિજ બેઠક પર બ્રાહ્મણ અને જૈન સમાજનો દબદબો
કોંગ્રેસે 1975 બાદ પ્રથમ વખત સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપી છે. કોંગ્રેસ દ્વારા અત્યાર સુધી બહારના જ ઉમેદવારને ટિકિટ આપવામાં આવતી હતી. એલિસબ્રિજ વિધાનસભામાં બ્રાહ્મણ અને ત્યારબાદ જૈન સમાજનો દબદબો છે. આ વખતે કોંગ્રેસે બ્રાહ્મણ ઉમેદવાર ભીખુ દવેને ટિકિટ આપી છે, તેથી ભાજપ પણ ચાલુ ધારાસભ્ય રાકેશ શાહની ટિકિટ કાપીને બ્રાહ્મણ ઉમેદવારને ટિકિટ આપે તેવી પૂરી શક્યતા છે. બ્રાહ્મણ ઉમેદવારને ટિકિટ મળશે તો જંગ બરોબરની રહેશે.
રાકેશ શાહનો વિરોધ
એલિસબ્રિજ વિધાનસભાના હાલના ધારાસભ્ય રાકેશ શાહ વિરુદ્ધ જૈન સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. વાત એવી છે કે પાલડી ખાસ કરીને જૈન બહુમતી ધરાવતો વિસ્તાર છે. લઘુમતી સમાજને પાલડીમાં આવતા રોકી ન શકનાર રાકેશ શાહને ટિકિટ ન આપવા માટે જૈન સમાજ, જૈન સંતોએ ભાજપને રજૂઆત કરી છે. આ અગાઉ રિડેવલોપમેન્ટમાં અશાંતધારાનો ભંગ થવા બદલ પણ સ્થાનિકો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેક્ટર કચેરીમાં રજૂઆત થઇ હતી. આ વખતે રાકેશ શાહના વિરોધમાં ગઇકાલે 80,000 ઘરોમાં પત્રિકાઓ ફરતી થઇ હતી.
ભાજપનો ગઢ ગણાતા એલિસબ્રિજ માટે કોંગ્રેસે કરી ખાસ તૈયારી
એલિસબ્રિજ મતવિસ્તારમાંથી કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા ભીખુભાઇ દવે એક સોશિયલ વર્કર છે. તેઓ કોંગ્રેસની હેલ્થ કમિટીના ચેરમેન છે. આ કમિટીએ કોરોનામાં જીવના જોખમે કામ કર્યું છે. કોંગ્રેસના પાયાના કાર્યકરમાં તેમની ગણતરી થાય છે. તેઓ સ્થાનિક વિસ્તારમાં પણ લોકોના પ્રિય છે. ભીખુ દવેની છબી સ્વચ્છ અને સેવાભાવી વ્યક્તિ છે, જેના કારણે તેમને ટિકિટ આપવામાં આવી છે. સાથે જ કોંગ્રેસે 47 વર્ષ બાદ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપી છે. પરંતુ એલિસબ્રિજ વિધાનસભા પણ વર્ષોથી ભાજપનો ગઢ રહી છે અને લીડ પણ 85,000ની ગત ચૂંટણીમાં હતી, માટે આ ચૂંટણીમાં ભાજપનો હરાવવા કોંગ્રેસના ઉમેદવારે પણ અલગ તૈયારી કરી છે.