હવે મીટરમાં ગડબડ હોવાને લીધે વિજળીનું બિલ વધુ નહીં આવે. ગ્રાહક મિનિસ્ટ્રી હેઠળ આવતાં માપતોલ વિભાગ દ્વારા વિજળીના મીટર અંગે નવા કાયદાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે લાગુ થયા બાદ મીટરનું નિર્માણ કરતી દરેક કંપનીએ તે કાયદાનું પાલન કરવું પડશે.
હવે સરકાર દ્વારા વેરિફાઇડ વિજળીના મીટર ઘરોમાં લગાડવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ગ્રાહક મિનિસ્ટ્રીએ નવા કાયદા માટે ડ્રાફ્ટ તૈયાર કર્યું છે. જે પ્રમાણે નિયમોનું ઉલ્લંઘન કરનારને જેલ અને દંડની સજા થઇ શકે છે. જો આ નિયમોમાં છેડછાડ કરવામાં આવે અથવા નિયમોની શરતોનું પાલન નહીં કરે તેવી કંપનીઓ સામે સજા અથવા દંડાત્મક પગલા લેવામાં આવશે.
આ માટે સરકાર સેન્ટ્રલ પાવર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટની મદદ લઇ રહી છે. સેન્ટ્રલ પાવર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ તરફી જે ટેક્નિક મળશે તેના આધારે સરકાર મીટર પ્રી-વેરિફાઇડ કરશે. તેની પર સીલ લગાડવામાં આવશે. જે બાદ જ મીટર ગ્રાહક સુધી પહોંચશે.
હાલની પ્રક્રિયા પ્રમાણે મીટરોની રેન્ડમ સેમ્પલિંગ કરવામાં આવે છે. એટલે તમામ મીટરોની તપાસ થતી નથી. તેના કારણે જ અમુકવાર ખામીયુક્ત મીટર ફીટ થાય છે અને તેની અસર બિલ પર જોવા મળે છે. જોકે આ નવા કાયદા અંગે સ્ટેક હોલ્ડર્સ સાથે કન્સલટેશન બાદ જુલાઇ સુધી આ કાયદો લાગુ કરી શકાય છે.