દેશનાં અન્ય શહેરોની જેમ અમદાવાદમાં જાહેર પરિવહન સેવા ખાસ અસરકારક ન હોઇ વધુ ને વધુ નાગરિકો પોતાની બચત કે બેન્કમાંથી લોન લઇ અંગત ટુ-વ્હીલર વગેરે વાહનો વસાવી રહ્યા છે. એક અંદાજ મુજબ શહેરના રસ્તા પર દરરોજનાં ૮૦૦ વાહન ઉમેરાઇ રહ્યાં છે, જોકે છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-ડીઝલ કે સીએનજી આધારિત વાહનના બદલે ઈલેક્ટ્રિક વાહનનો ક્રેઝ વધ્યો છે.
ઇલેક્ટ્રિક વાહન પર આજીવન વિહિકલ ટેક્સમાં પ૦ ટકા છૂટ અપાઈ છે
શહેરના અનેક વિસ્તારોમાં ચાર્જિંગ સ્ટેશન ઊભા કરાશે
આગામી બે મહિનામાં ચાર્જિંગ સ્ટેશન ધમધમતા થશે
ઈલેક્ટ્રિક વાહનચાલકોની સંખ્યા પ્રતિદિન વધતી જ જાય છે, પરંતુ ખુદ મ્યુનિસિપલ સત્તાવાળાઓ સીએનજી કે ડીઝલ બસના બદલે ઈલેક્ટ્રિક બસ પર વધુ ભાર મૂકી રહ્યા છે. આગામી માર્ચ-ર૦ર૦ સુધીમાં બીઆરટીએસની ૬૦૦ ઈલેક્ટ્રિક બસ કોિરડોરમાં દોડતી થાય તેવી શક્યતા છે. આને જોતાં તંત્ર દ્વારા રેવન્યૂ શેરિંગ બેઝ પર શહેરમાં પાંચ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરવાનાં ચક્રો ગતિમાન કરાયાં છે. શહેરમાં આ રીતે ૧૦૦ જેટલા પબ્લિક ચાર્જિંક સ્ટેશન ઊભાં કરવાનું આયોજન છે.
કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રાલયના ઇઇએસએલ એટલે કે એનર્જી એફિસિયન્સી સર્વિસીઝ લિ. કંપની સાથે પબ્લિક ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરવાના એમઓયુ કરાયા છે. આ એમઓયુ અંતર્ગત મધ્ય ઝોનમાં પ્રેમ દરવાજા પાસેના પે એન્ડ પાર્કની જગ્યા, રૂપાલી સિનેમા પાસે નહેરુબ્રિજ નજીકની પે એન્ડ પાર્કની જગ્યા એમ કુલ બે જગ્યાએ જ્યારે દક્ષિણ ઝોનમાં કાંકરિયા પાર્કિંગ કોમ્પ્લેક્સ કેમ્પસ, કાંકરિયા કિડ્સ સિટી અને નવરંગપુરા પાર્કિંગ કોમ્પ્લેક્સ કેમ્પસ એમ ત્રણ મળીને કુલ પાંચ જગ્યાએ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરાશે.
આ ચાર્જિંગ સ્ટેશન પર વાહનોને ચાર્જ કરવા માટે જે પાવર વપરાશે તેના યુનિટદીઠ ૭૦ પૈસા મ્યુનિસિપલ કોર્પો.ને રેવન્યૂ શેરિંગ તરીકે ઇઇએસએલ કંપની આપશે, જ્યારે નાગરિકો પાસેથી યુનિટદીઠ રૂ.૭ કે ૮નો ચાર્જ લેવાશે. આગામી બે મહિનામાં આ તમામ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન ધમધમતાં થઇ જશે અને આ કંપની સાથે તંત્ર રેવન્યૂ શેરિંગ બેઝ પર વધુ ૧૦૦ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરાશે. આ તમામ ચાર્જિંગ સ્ટેશનનંંુ ઇન્સ્ટોલેશન, ઓપરેશન અને મેન્ટેનન્સ ઇઇએસએલ કંપની કરશે.
શહેરમાં ટ્રાફિકના વધતા જતા ભારણને જોતાં વાહનથી થતા વાયુ પ્રદૂષણમાં ઘટાડો થઇ શકે તેવા આશયથી શહેરીજનોને જાહેર સ્થળોએ ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગની સુવિધા અપાવવાના હેતુસર મ્યુનિસિપલ સત્તાધીશો પબ્લિક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરી રહ્યા છે, જોકે આ ચાર્જિંગ સ્ટેશનમાં 'જેટ'ની અત્યારે દોડતી પ૦ ઇલેક્ટ્રિક રિક્ષા તેમજ નવી આવનારી બે ઇલેક્ટ્રિક રિક્ષા મળીને કુલ પર ઇલેક્ટ્રિક રિક્ષા, ઉચ્ચ અધિકારીઓ માટેની નવી આવનારી દસ ઇલેક્ટ્રિક કાર તેમજ બીઆરટીએસની નવી ઇલેક્ટ્રિક બસનું ચાર્જિંગ પણ થઇ શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ના બજેટમાં સત્તાવાળાઓએ નાગરિકો ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીને પ્રોત્સાહન આપવા માટે તેેના આજીવન ટેક્સમાં પ૦ ટકા છૂટ જાહેર કરાઇ છે. હવે શહેરમાં ૧૦૦થી વધુ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરીને તંત્ર શહેરને વાયુ પ્રદૂષણ મુક્ત અમદાવાદ બનાવવાની દિશામાં આગેકૂચ કરશે.