અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્રીન અને ક્લિન જાહેર પરિવહન માટે શહેરમાં ઈલેકટ્રીક બસ દોડાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી રૂપાણી 8 ઈલેક્ટ્રિક બસોનું લોકોર્પણ કરશે. લોકાર્પણ બાદ શહેરમાં 18 ઈલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે જ્યારે આગામી બે મહિનામાં બાકીની 32 બસો આવશે. આ બસમાં બેટરી સ્વેપ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્વેપ ટેકનોલોજી ધરાવતી બસમાં એકવાર સ્વેપ કરવાથી 40 કિલો મીટર જેટલી મુસાફરી કરી શકાય છે. અમદાવાદમાં કુલ 50 ઈલેક્ટ્રિક બસને ગ્રોસ કોસ્ટ મોડલ પર લેવામાં આવશે. આ તમામ બસો 50 મુસાફરોની ક્ષમતા વાળી એસી બસ છે. આ બસને કારણે વાયુ અને ધ્વનિ પ્રદૂષણ ફેલાતું પણ અટકશે. આ બસમાં સુરક્ષા માટે ઓટોમેટિક ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. જેથી બેટરીમાં આગ લાગવાના કારણે થતી દુર્ઘટના અટકાવી શકાશે. સાથે જ ઓટોમેટિક ડોર સેન્સરને કારણે બસના દરવાજા ખુલ્લા હોવાની સ્થિતિમાં બસ ચાલી શકશે નહીં.