અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્રીન અને ક્લિન જાહેર પરિવહન માટે શહેરમાં ઈલેક્ટ્રિક બસ દોડાવવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી રૂપાણી 18 ઈલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કર્યું છે. આજથી અમદાવાદના રસ્તાઓ લંડન જેવી ઈલેક્ટ્રિક સિટી બસ દોડશે. જ્યારે આગામી બે મહિનામાં બાકીની 32 બસો દોડાવવામાં આવશે.
ઈલેક્ટ્રિક બસની વિશેષતા
આ બસમાં બેટરી સ્વેપ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્વેપ ટેકનોલોજી ધરાવતી બસમાં એકવાર સ્વેપ કરવાથી 40 કિલો મીટર જેટલી મુસાફરી કરી શકાય છે. અમદાવાદમાં કુલ 50 ઈલેક્ટ્રિક બસને ગ્રોસ કોસ્ટ મોડલ પર લેવામાં આવશે. આ તમામ બસો 50 મુસાફરોની ક્ષમતા વાળી એસી બસ છે.
આ બસને કારણે વાયુ અને ધ્વનિ પ્રદૂષણ ફેલાતું પણ અટકશે. આ બસમાં સુરક્ષા માટે ઓટોમેટિક ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. જેથી બેટરીમાં આગ લાગવાના કારણે થતી દુર્ઘટના અટકાવી શકાશે. સાથે જ ઓટોમેટિક ડોર સેન્સરને કારણે બસના દરવાજા ખુલ્લા હોવાની સ્થિતિમાં બસ ચાલી શકશે નહીં.
18 બસોમાં બેટરી સ્વેપ ટેકનોલોજી
આ 50 બસો પૈકી 18 બસોમાં બેટરી સ્વેપ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ભારતભરમાં પ્રથમવાર અમલમાં આવી છે. સ્વેપ ટેકનોલોજી ધરાવતી બસમાં એકવાર સ્વેપ કરવાથી 40 કિલો મીટર જેટલી મુસાફરી કરી શકાય છે. વધુમાં અન્ય 32 બસોમાં ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવશે. જેમાં પ્રતિ ચાર્જ દીઠ 200 કિલો મીટરની મુસાફરી કરી શકાશે.
રોબોટ દ્વારા બસની બેટરી બદલાશે
ભારતમાં પ્રથમવાર ઉપયોગમાં આવનારી સ્વેપ ટેકનોલોજીથી તંત્ર દ્વારા બીઆરટીએસ કોરિડોરમાં દોડનારી તમામ ઈલેક્ટ્રિક બસની રોબોટ દ્વારા બેટરી બદલાશે. જ્યારે પણ કોઇ બસની બેટરી 20 ટકાનું માપ બતાવે ત્યારે તે ઈલેક્ટ્રિક બસ રાણીપના ચાર્જિંગ બસ સ્ટેશને પહોંચી ડિસ્ચાર્જ થયેલી બેટરીને રોબોટ દ્વારા બદલી નવી બેટરી ફિટ કરશે. ત્યારબાદ આ રોબોટ ડિસ્ચાર્જ થયેલી બેટરીને ઓટોમેટિકલી ચાર્જિંગમાં મૂકશે.