અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ચેરમેન પદે રામસિંહ પરમાર અને વાઇસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમાર યથાવત છે.
રામસિંહ અને રાજેન્દ્રસિંહની સર્વ સંમતિથી તમામ હોદ્દેદારોએ વરણી કરી છે. ત્યારે આ દરમિયાન રામસિંહ પરમારે કહ્યું કે, ઘણા સમયથી અમૂલમાં હું ફરજ બજાવું છે. ત્યારે આજે હું અને રાજેન્દ્રસિંહ ફરી એક વખત બિનહરીફ તરીકે ચૂંટાયા છે. સાથે જ તેઓએ કહ્યું કે, ગ્રાહકોને અમૂલની ચોખ્ખી પ્રોડક્ટ મળે તે માટે કામ કરીશું અને અમૂલના નવા પ્લાન્ટ પણ શરૂ કરીશું. રામસિંહ પરમારે કહ્યું કે, અમૂલના નવા પ્લાન્ટની બજેટમાં જોગવાઇ કરેલી છે. રામસિંહ છેલ્લા 25 વર્ષથી અમૂલ ડેરીના વિવિધ હોદ્દાઓ પર રહેલા છે અને છેલ્લા 2 દાયકાથી પણ વધું સમય અમૂલ ડેરીના ચેરમેન રહ્યા છે. હાલ GCMMFનું ચેરમેન પદ રામસિંહ પરમાર સંભાળી રહ્યાં છે.
ત્યારે વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર પણ યથાવત છે. 13 વર્ષથી રાજેન્દ્રસિંહ પરમાર વાઇસ ચેરમેન પદ પર છે. ત્યારે બંને વચ્ચેના જૂના કોંગ્રેસી સંબંધોના કારણે બંનેની બિનહરીફ વરણી થઇ છે. ચેરમેન અને વાઇસ ચેરમેનનો કાર્યકાળ 16 ઓગસ્ટ 2019 સુધીનો છે અને અમૂલ ડેરી સાથે આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાની 1815 દૂધમંડળીઓ સંકળાયેલી છે અને અંદાજે 7,53,194 પશુપાલકોની માતૃ સંસ્થા અમૂલ ડેરી કહેવાય છે.
અમૂલ ડેરીની વાત કરવામાં આવે તો આણંદ, ખેડા, મહિસાગર જિલ્લાના લાખો પશુપાલકો આ સંસ્થા પર નિર્ભર કરે છે. દર પાંચ વર્ષે ડિરેક્ટર પદ માટે અહીં ચૂંટણી યોજાય છે. અમૂલમાં નિયામક મંડળના કુલ 13 સભ્યો માટે ચૂંટણી યોજાય છે. આ સિવાય ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના એક સભ્ય તેમજ 2 સભ્યો ફેડરેશનના તેમજ 1 સભ્ય જિલ્લા રજિસ્ટર એમ મળી કુલ 17 સભ્યો ચેરમેન અને વાઇસચેરમેન ચૂંટાતા હોય છે.
મહત્ત્વની વાત એ છે કે, અમૂલમાં અત્યાર સુધી કોંગ્રેસ પ્રેરિત સભ્યોનો દબદબો હતો જેના કારણે કોંગ્રેસ જ અમૂલનું સંચાલન કરતી હતી, પરંતુ ગત વિધાનસભાની ચૂંટણીમાં અમૂલના ચેરમેન રામસિંહ પરમાર ભાજપમાં જોડાઇ જતા અમૂલ બે ભાગમાં વેચાઇ ગઇ છે. જેમાં ચેરમેન ભાજપના અને વાઇસ ચેરમેન કોંગ્રેસના એમ બે ભાગ થઇ ગયા છે. જેમાં તો ખેડા, બાલાસિનોર, સેવાલીયા અને ઠાસરા વિસ્તારમાં રામસિંહ પરમારનું પ્રભુત્વ છે જ્યારે જ્યારે આણંદ જિલ્લામાં રાજેન્દ્રસિંહનું પરમાર પ્રભુત્વ છે.