કહેવાય કે પાવર સામે સૌ કોઈ ઝૂકે. પરંતુ તે જ પાવર મેળવવા માટે પૈસા પણ એટલા જ અનિવાર્ય છે. કેમ કે પૈસા વિના પાવર મળવો મુશ્કેલ છે.અને આ બાબત સાબિત કરે છે રાજકીય પક્ષો અને તેના ઉમેદવારો. ચૂંટણી સમયે રાજકીય પક્ષોને લાખો-કરોડો રૂપિયાનું ડોનેશન આવતું હોય છે. અને તેમાંથી ચૂંટણી પ્રચાર માટે નાણાં ફાળવવામાં આવે છે.જો કે ચૂંટણી પ્રચારમાં ઉમેદવારે કેટલા નાણાં વાપરવા તે અંગેના નીતિ નિયમો તો બનેલા છે. પરંતુ તેનો અમલ થતો હશે કે કેમ તે તો ભગવાન જાણે. એટલું જ નહી પરંતુ નિયમ મુજબ તો પાર્ટીઓએ પણ હવે તો 2 હજાર કરતા વધુની રકમના આવેલા ડોનેશનનો હિસાબ જાહેર કરવો જરૂરી છે. જો કે તેમાં ડોનેશન આપનારનું નામ ગુપ્ત રાખવામાં તેવો સરકારનો આગ્રહ છે. પરંતુ સરકારના આ આગ્રહ સામે સુપ્રીમ કોર્ટે વાંધો ઉઠાવ્યો છે અને ડોનરનું નામ પણ આગામી સમયમાં જાહેર કરવા આદેશ કર્યો છે. ત્યારે સવાલ એ છે કે ચૂંટણીમાં પારદર્શિતા આવે તેમાં રાજકીય પાર્ટીઓને વાંધો શું છે? શા માટે રાજકીય પાર્ટીઓ ડોનરનું નામ જાહેર કરવા નથી માગતા? શું ડોનરનું નામ જાહેર ન કરવાથી સરકારનું કાળા નાણાં સામેનું મિશન પ્રભાવિત નહીં થાય? લોકો પાસેથી સરકાર કમાણીના આધારે ટેક્સ ભરવાની અપેક્ષા રાખે છે તો પાર્ટીઓને પોતાનો હિસાબ આપવામાં વાંધો શું છે ? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન...