અમદાવાદ: શહેરની જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપ્રમુખ પદ માટે આજે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ભાજપના 2 સભ્યો કોંગ્રેસને સમર્થન આપે તેવી શક્યતાઓ છે. મહત્વનું છે કે હાલ અમદાવાદ કોંગ્રેસ પાસે 17 સદસ્યોનું પીઠબળ છે. ભાજપના 2 સભ્યો સીતાપુર બેઠક પરથી ચૂંટાયેલા અમરસિંહ ઠાકોરને સમર્થન આપી શકે છે. તેથી અમરસિંહ ઠાકોર પ્રમુખ બની શકે છે. તો ઉપ-પ્રમુખ તરીકે સાણંદ બેઠકના કોંગ્રેસના અમરસિંહ સોલંકીની વરણી થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણીને લઇ ભાજપ અને કોંગ્રેસમાં સત્તા મેળવવા છેલ્લી ઘડીના મરણિયા પ્રયાસો શરૂ કર્યા છે. ગત ૧૩ જુનના ધોળકા ખાતે યોજાયેલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો. તેનું પૂનરાવર્તન આજરોજ ન થાય તે માટે ભાજપ શાસિત વિરમગામ દસક્રોઇ સાણંદ અને દેત્રોજ તાલુકા પંચાયતમાં ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરવામાં આવી છે. તો બીજીબાજુ કોંગ્રેસે પણ ભાજપ સત્તા આંચકી લેવાના તેના રાજકીય વ્યૂહમાં સફળ ના થાય તે માટે ડિફેન્સીવ સ્ટ્રેટેજી અપનાવી આગળ વધી રહ્યું છે.
આપને જણાવી દઇએ કે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સભ્યોની કુલ સંખ્યા ૧૮ની હતી. પરંતુ ઠાકરસિંહ નામના એક સભ્યએ કેસરિયો ધારણ કરી લેતા તે સંખ્યા ઘટીને ૧૭ થઇ જવા પામી હતી. જ્યારે આ તરફ ભાજપની સંખ્યા ૧૬ હતી તેમાંથી એક મહિલા સભ્ય ડિસ્ક્વોલિફાઈડ થતા હાલ ૧૫ની થઈ છે.
પરંતુ આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચતા કેસ ચાલતા મહિલા સદસ્ય પર હાલની ચૂંટણીમાં મત આપી શકશે તેવો ચુકાદો આવતા ફરીવાર સંખ્યા યથાવત બની હતી. ત્યારે આજરોજ યોજાનાર ચૂંટણીને પગલે કોંગ્રસ દ્વારા પોતાના સભ્યોને અજ્ઞાતવાસમાં મોકલી દેવામાં આવ્યા છે. જો કે હવે જોવું જ રહ્યું કે અમદાવાદની પંચાયતમાં કોના માથે તાજ શોભે છે.