કેન્દ્ર સરકારે કોરોના વાયરસના પ્રીકોશન ડોઝ તરીકે ત્રીજા ડોઝ માટે સિનિયર સિટિજન્સને મોટી રાહત આપી છે. ત્યારે હવે ચૂંટણી કર્મચારીઓને લઇને પણ મોટો નિર્ણય લીધો છે.
5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે
ચૂંટણી કર્મીઓને પણ પ્રીકૉશન ડોઝ આપવામાં આવશેઃ સ્વાસ્થ્ય મંત્રાલય
સિનિયર સિટિજન્સને પણ અપાઈ મોટી રાહત
દેશમાં ઓમિક્રોનનો ખતરો દિવસે દિવસે વધતો જઇ રહ્યો છે જેને લઇને સરકારની ચિંતા વધતી જઇ રહી છે. ત્યારે હવે સરકાર માટે એક ચિંતાનો વિષય બન્યો છે તે છે 5 રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણી. ત્યારે હવે સ્વાસ્થ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ, સફાઇ કર્મીઓ બાદ ફ્રન્ટલાઇન વર્કર્સમાં ચૂંટણી કર્મીઓનો પણ સમાવેશ કરાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે, ચૂંટણી રાજ્યોમાં ઇલેક્શન ડ્યૂટીમાં લાગેલા લોકોને પણ ફ્રન્ટલાઇન વર્કર્સની કેટેગરીમાં સામેલ કરવામાં આવશે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે એલાન કર્યું કે જે રાજ્યોમાં આગામી કેટલાક મહિનાઓમાં વિધાનસભા ચૂંટણી થવાની છે, ત્યાં ચૂંટણી ફરજમાં તૈનાત કરવામાં આવનારા કર્મચારીઓને ફ્રન્ટલાઇન વર્કર્સની શ્રેણીમાં સામેલ કરવામાં આવશે. આ કર્મીઓને પ્રીકૉશન ડોઝ પણ આપવામાં આવશે.
કેન્દ્ર સરકારે સિનિયર સિટિજન્સને આપી મોટી રાહત
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી નવા નિયમમાં એવું કહેવાયું છે કે વૃદ્ધોએ પ્રીકોશનરી ડોઝ માટે ડોક્ટરોનું સર્ટિફિકેટ કે પ્રસ્ક્રિપ્શન દેખાડવાની જરુર નથી. કેન્દ્ર સરકારે 10 જાન્યુઆરીથી પ્રીકોશન ડોઝનું જે અભિયાન શરુ કર્યું છે તેમાં ગંભીર બીમારીથી પીડિત વરિષ્ઠ નાગરિકોને પ્રીકોશન ડોઝનો વિકલ્પ અપાયો છે.
પહેલા એવું કહેવાયું હતું કે પ્રીકોશન ડોઝ માટે વરિષ્ઠ નાગરિકોએ ડોક્ટરનું મેડિકલ સર્ટિફિકેટ અથવા સલાહનું પ્રમાણપત્ર લાવવું પડશે તો જ તેમને પ્રીકોઝનનો ડોઝ અપાશે જોકે હવે સરકારે આ નિયમ બદલી કાઢ્યો છે અને આવા કોઈ ડોક્ટરના સર્ટિફિકેટની જરુર નથી એવું જાહેર કર્યું છે.
#COVID19 | All persons aged 60yrs&above with co-morbidities will not be required to produce/submit any certificate from the doctor, at the time of administration of precaution dose: Union Health Ministry
વૃદ્ધો માટે 10 જાન્યુઆરીથી પ્રીકોશન ડોઝની વ્યવસ્થા શરુ થઈ રહી છે. નેશનલ હેલ્થ ઓથોરીટીના સીઇઓ ડો. આર એસ શર્માએ ન્યૂઝ એજન્સીએ કહ્યું હતું કે પ્રિકોશનરી ડોઝ માટે 'કોમોરબીડિટી સર્ટિફિકેટ' જરૂરી હશે. જો તમને ડાયાબિટીસ, કેન્સર, શ્વાસ લેવામાં તકલીફ અને હ્રદયના રોગો જેવી ગંભીર બીમારી હોય તો જ તમને ત્રીજો ડોઝ મળશે.
બુસ્ટર ડોઝનું સર્ટિફિકેટ મળશે?
હા, જે રીતે પ્રથમ બે ડોઝ પર વેક્સિન સર્ટિફિકેટ મળ્યું હતું એ જ રીતે ત્રીજા બુસ્ટર ડોઝનો સર્ટિફિકેટ પણ મળશે એવું ડો. અર એસ શર્માએ જણાવ્યું હતું.
બુસ્ટર ડોઝના નિર્ણય પાછળનું કારણ
દુનિયાભરના વૈજ્ઞાનિકોએ ચેતવી દીધા છે કે કોરોનાની વેક્સિનથી બનેલી ઇમ્યુનિટી થોડા સમય પછી ઓછી થઈ જાય છે. એવામાં વેક્સિનના બુસ્ટર ડોઝની જરૂર બધાંને પડી શકે છે. કોરોનાનો નવો ઓમિક્રોન વેરિયન્ટ વધારે શક્તિશાળી હોવાથી તેની જરૂર વધી ગઈ હતી. હવે નવો વેરિયન્ટ વેકસીનેટેડ લોકોને પણ અસર કરી રહ્યો છે એટલે ફ્રન્ટ લાઇન વર્કર્સ અને વૃદ્ધોને બુસ્ટર ડોઝની જરૂર જણાઈ રહી છે. માટે સરકારે આ નિણર્ય લેવો પડ્યો હતો.