ગઇકાલે રાત્રે ગુમ થયેલા કાંતિ ખરાડીએ જંગલમાં દોડીને જીવ બચાવ્યો હોવાનો દાવો, વહેલી સવારે સારવાર માટે સિવિલ પહોંચેલા કાંતિ ખરાડીએ કર્યા ભાજપ પર ગંભીર આક્ષેપ
ગઈકાલે રાત્રે ગુમ થયા બાદ વહેલી સવારે મળ્યા કાંતિ ખરાડી
પાલનપુર સિવિલમાં સારવાર કરવા પહોંચ્યા કાંતિ ખરાડી
રાત્રીના સમયે જંગલ વિસ્તારમાં ભાગવા સમયે કાંતિ ખરાડી થયા ઈજાગ્રસ્ત
ભાજપનાં ઉમેદવાર અને અન્ય વ્યક્તિઓએ ગાડી પર હુમલો કર્યો હતો- કાંતિ ખરાડી
કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડીને વધુ સુરક્ષા આપવા ચૂંટણી પંચના નિર્દેશ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ હાલ બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. તેવામાં ગઇકાલ રાતે કોંગ્રેસના બનાસકાંઠા જિલ્લાના દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી ગુમ થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં દાંતા તાલુકાના છોટા બામોદરા પાસે કાંતિ ખરાડીની ગાડી રોકાવી પલટી મરાવી હોવાની વાત સામે આવી હતી. આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ટ્વિટ કરી લખ્યું હતું કે, કાંતિ ખરાડીનું માર મારી અપહરણ કરાયું છે. જે બાદમાં તેઓ આજે સવારે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે પાલનપુર સિવિલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાજપ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. આ તરફ હવે ચૂંટણી પંચ પણ એક્શનમાં આવ્યું છે અને કાંતિ ખરાડીને વધુ સુરક્ષા આપવા નિર્દેશ કર્યા છે.
ચૂંટણીપંચ એક્શનમાં
કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડી ગઈકાલે રાત્રે ગુમ થયા બાદ વહેલી સવારે મળ્યા બાદ હવે ચૂંટણી પંચ પણ એક્શનમાં આવ્યું છે. વિગતો મુજબ ચૂંટણીપંચ દ્વારા કાંતિ ખરાડીને વધુ સુરક્ષા આપવા નિર્દેશ કર્યા છે. મહત્વનું છે કે, કાંતિ ખરાડી પર હુમલો થતા ફરિયાદ નોંધાવી હતી. આ તરફ ફરિયાદ બાદ કાંતિ ખરાડીને વધુ સુરક્ષા આપવા ચૂંટણી પંચે આદેશ કર્યો છે.
શું હતી સમગ્ર ઘટના ?
ગઇકાલે રાત્રે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીનું માર મારી અપહરણ કરાયું છે. જે બાદમાં જિલ્લાની પોલીસ એક્શનમાં આવી અને તેમની શોધખોળ હાથ ધરી હતી. આ દરમ્યાન આજે વહેલી સવારે કાંતિ ખરાડી મળી આવ્યા હતા. આજે સવારે કાંતિ ખરાડી મોટી સંખ્યામાં લોકો સાથે પાલનપુર સિવિલમાં સારવાર કરવા પહોંચ્યા હતા. મહત્વનું છે કે, તેમણે નિવેદન મુજબ ગઇકાલે રાત્રેના સમયે જંગલ વિસ્તારમાં ભાગવા સમયે તેઓ ઈજાગ્રસ્ત બન્યા હતા.
શું કહ્યું કાંતિ ખરાડીએ ?
દાંતાના કોંગ્રેસી ધારાસભ્ય અને ઉમેદવાર કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રે ભાજપનાં ઉમેદવાર અને અન્ય વ્યક્તિઓએ ગાડી પર હુમલો કર્યો હતો. આ સાથે હુમલો કરનારા વ્યક્તિઓ હથિયારો સાથે આવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. જે બાદમાં જંગલમાં દોડીને મેં જીવ બચાવ્યો અને જંગલમાં પડી જવાથી ઈજા પહોંચી હોવાનું કાંતિ ખરાડીએ જણાવ્યું હતું.
કાંતિ ખરાડી મળી ગયા: જગદીશ ઠાકોર
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે, અમારે ફોન પર વાતચીત થઇ છે અને તેઓ મળી ગયા છે. ત્યારે ગુમ થવા અંગે કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે, તેઓ પર ભાજપ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેઓ ગઈકાલે રાતે દાંતાના છોટા બામોદરા ગામેથી ગુમ થયા હતા.
ઉલ્લેખનીય છે કે, કાંતિ ખરાડીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને બોગસ મતદાન અને ધાક ધમકીની ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ તેમણે આ અંગે કલેકટર એસપી અને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીને પણ જાણ કરી હતી, જો કે ગુમ થયાંના સમાચાર સામે આવ્યા બાદ જિલ્લા પોલીસ વડા સહિત એલસીબી અને પોલીસની ટીમો કાંતિ ખરાડી ને શોધવાના કામે લાગી હતી. જ્યારે ધારાસભ્ય કાંતિ ખરાડીના બંને મોબાઈલ સ્વીચ ઓફ આવતા મુશ્કેલીઓ વધી હતી.