ચૂંટણી પંચે આચારસંહિતાના ભંગ બદલ બંગાળના સીએમ મમતા બેનરજીને નોટીસ જારી કરીને 48 કલાકમાં તેમનો જવાબ માંગ્યો છે.
મમતાએ મુસ્લિમો પાસેથી વોટ માંગ્યા-ભાજપનો આરોપ
ભાજપ પહોંચ્યું ચૂંટણી પંચ પાસે
ચૂંટણી પંચે કરી કાર્યવાહી, મમતાને પાઠવી નોટીસ
48 કલાકમાં મમતા પાસેથી જવાબની કરી માંગણી
મમતા સામે મુસ્લિમ સમૂદાય પાસેથી વોટ માંગવાનો આરોપ છે. ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીની આગેવાનીમાં ભાજપનું એક પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચના અધિકારીઓને મળ્યું. ભાજપના પ્રતિનિધિમંડળે પંચના અધિકારીઓને મમતા બેનરજીની ફરિયાદ કરી.
ફરિયાદમાં મમતા બેનરજી સામે એવો આરોપ કરાયો છે કે તેમણે હુગલીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મુસ્લિમ મતદાતાઓને એકજૂટ થઈને ટીએમસીના પક્ષમાં વોટ નાખવાની અપીલ કરી હતી. ચૂંટણી પંચે પણ ભાજપની આ ફરિયાદ પર ઘટતું કરવાની ખાતરી આપીને તાત્કાલિક કાર્યવાહી કરી.
મમતા પાસેથી 48 કલાકમાં જવાબની માંગણી
ભાજપની ફરિયાદ મળ્યાં બાદ ચૂંટણી પંચે મમતાને નોટીસ આપી તથા 48 કલાકમાં તેમની પાસેથી આનો ખુલાસો માંગ્યો છે.
મમતા સામે ફરિયાદ કરવા ભાજપ ચૂંટણી પંચમાં પહોંચ્યો
ચૂંટણી પંચને મળ્યા બાદ નકવીએ મીડિયાને જણાવ્યું કે બંગાળમાં ચૂંટણી આચારસંહિતાનો ભંગ થયો છે. મમતા બેનરજીએ મુસ્લિમોને એકજૂટ થઈને ટીએમસીને મત આપવાની અપીલ કરી હતી. અમે ચૂંટણી પંચને વિનંતી કરી કે મમતાની સામે કેસ દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવે.
આ છે મામલો
હુગલીના તારકેશ્વરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા મમતા બેનરજીએ મુસ્લિમોને આઈએસએફ અને ઓવૈસીની પાર્ટીની અપીલ ન સાંભળવાનું તથા તેમને વોટ ન આપવાની અપીલ કરી હતી. મમતાએ લોકોને એવું પણ કહ્યું હતું કે જો ભાજપ સત્તા પર આવશે તો બંગાળ ગંભીર ખતરામાં આવી પડશે. મમતાએ મુસ્લિમોને એકજૂટ થઈને ટીએમસીને મત આપવાની અપીલ કરી હતી. મમતાની આ વાતને પકડી લઈને ભાજપ ચૂંટણી પંચમાં પહોંચ્યો અને મમતા સામે ફરિયાદ કરી.