પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના પગમાં થયેલી ઈજાના મુદ્દે ચૂંટણી પંચે એક મોટો ખુલાસો કરતા જણાવ્યું કે મમતા પરનો હુમલો એક દુર્ઘટના હતી.
અલગ અલગ રિપોર્ટને આધારે ચૂંટણી પંચનું તારણ
મમતા પર હુમલાના કોઈ પુરાવા નહીં-ચૂંટણી પંચ
મમતાને પગમાં થયેલી ઈજા સુરક્ષાકર્મીઓની લાપરવાહીનું પરિણામ
નંદીગ્રામમાં મમતાના પગમાં થયેલી ઈજા એક દુર્ઘટના
અલગ અલગ રિપોર્ટને આધારે ચૂંટણી પંચ એવા નિષ્કર્ષ પર પહોંચ્યું છે કે મમતા પર હુમલો થયો હોવાના કોઈ પુરાવા નથી. નંદીગ્રામમાં મમતાના પગમાં થયેલી ઈજા એક દુર્ઘટના હતી.
રાજ્યના મુખ્ય સચિવ અલાપન બંધોપાધાય્ય, વિશેષ પોલીસ અધિક્ષક વિવેક દૂબે અને વિશેષ પર્યવેક્ષક અજય નાયકના રિપોર્ટને આધારે ચૂંટણી પંચે આ નિર્ણય કર્યો છે.
શનિવારે ચૂંટણી પંચે આ ઘટનાનો વિસ્તૃત રિપોર્ટ સોંપી દેવાયો હતો.રવિવારે બપોરે આ મુદ્દે ચૂંટણી પંચની એક બેઠક મળી હતી જેમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરાઈ હતી ચર્ચા બાદ ચૂંટણી પંચે જણાવ્યું હતું કે મમતા પર હુમલાના કોઈ પુરાવા નથી.
ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું કે મમતા બેનરજીને થયેલી ઈજા તેમના સુરક્ષાકર્મીઓની ભૂલનું પરિણામ હતી. કોઈ હુમલાને કારણે બેનરજીને ઈજા પહોંચી નથી.
બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઇજાગ્રસ્ત થયા હતા.. તેમણે આરોપ લગાવ્યો છે કે તેમના પર આ હુમલો કરવામાં આવ્યો છે. મમતા બેનર્જીને તાત્કાલિક કારની પાછલી સીટમાં બેસાડવામાં આવ્યા અને રવાના કરવામાં આવ્યા હતા. જોકે એક મીડિયા ચેનલ સાથે વાતચીતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાએ આ હુમલાને ખોટો ગણાવ્યો હતો. ભાજપ નેતા અર્જુન સિંહે કહ્યું કે મમતા બેનર્જી નાટક કરી રહ્યા છે અને તે જૂઠ બોલવામાં માસ્ટર છે. મમતા બેનર્જી પર આ હુમલા બાદ ભાજપે પોલીસ અને તંત્ર પર સવાલો ઉઠાવ્યા છે કે આ બધુ થયું ત્યારે પોલીસ શું કરી રહી હતી. સીએમની સુરક્ષામાં તૈનાત લોકો શું કરી રહ્યા હતા.