ચૂંટણી પંચે ચૂંટણી કમિશ્નર અશોક લવાસાની એ માંગ ફગાવી દીધી છે જેમા લવાસાએ પંચના સભ્યોની અસહમતિ અલ્પમત (લઘુમત)ને સાર્વજનિક કરવાની માંગ કરી હતી. ચૂંટણી કમિશ્નરે મંગળવારે અશોક લવાસાની આ માંગ મામલે બેઠક કરી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે અસહમતિનો રેકોર્ડ રાખવામાં આવશે. પરંતુ તેને નિર્ણય સાથે સાર્વજનિક નહીં કરવામાં આવે.
ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે ચૂંટણી પંચે પીએમ મોદી અને અમિત શાહને ક્લીનચીટ આપી હતી. ધ ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, અશોક લવાસાએ ક્લીનચીટ આપવાના 5 મામલામાં પોતાની આપત્તિ દર્શાવી હતી અને પીએમ મોદી-અમિતશાહને ક્લીનચીટ આપવાનો વિરોધ કર્યો હતો.
નિયમો અનુસાર ત્રણ સભ્યોના ચૂંટણી પંચમાં નિર્ણય બહુમતને આધારે લેવામાં આવે છે. અને મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોડા અને ચૂંટણી કમિશ્નર સુશીલ ચંદ્રા, વડાપ્રધાન મોદી અને અમિત શાહને ક્લીનચીટ આપવાના પક્ષમાં હતા. તેથી બહુમતને આધારે અશોક લવાસાના વિરોધને બાજુ પર મુકી ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપી હતી. અશોક લવાસાએ ગત 16 મેએ માંગ કરી હતી કે ચૂંટણી પંચની કોઇપણ બેઠકમાં કોઇપણ સભ્યની અસહમતિ અથવા અલ્પમતને સાર્વજનિક કરવામાં આવે. જેના પર ચૂંટણી પંચે મંગળવારે બેઠકમાં અશોક લવાસાની આ માગંને ફગાવી દીધી હતી.
ચૂંટણી પંચે બતાવ્યું કે બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય કરવામાં આવી કે પંચની બેઠકમાં તમામ સભ્ચોની પ્રતિક્રિયાનો રેકોર્ડ રાખવામાં આવશે. પરંતુ તેને સાર્વજનિક નિર્ણયમાં સામેલ કરવામાં આવશે નહીં. પોતાના નિર્ણય પર ચૂંટણી પંચે તર્ક આપ્યો કે ચૂંટણી પંચે આચાર સંહિતાનું ઉલ્લંઘન કોઇ ન્યાયિક મામલો નથી. એવામાં તેને સાર્વજનિક કરવાની જરૂર નથી. તે માત્ર ફાઇલોમાં રહેશે. ચૂંટણી પંચે સાથે જણાવ્યું કે આરટીઆઇ એક્ટ હેઠળ લોકો ફાઇલમાં નોંધાયેલ રેકોર્ડ વિશે જાણકારી મેળવી શકશે.