રામ મંદિર ટ્રસ્ટની જાહેરાત પર કેન્દ્ર સરકારને ચૂંટણી પંચમાંથી મોટી રાહત મળી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે રામ મંદિર ટ્રસ્ટના એલાનથી ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન થયું નથી.
રામ મંદિર ટ્રસ્ટનું એલાન ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન નહીં
ચૂંટણી આયોગે ભારતીય જનતા પાર્ટીને આપી મોટી રાહત
ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યાં અનુસાર સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ 9 ફેબ્રુઆરી સુધીમાં સરકારે ટ્રસ્ટ અંગેનું એલાન કરવાનું હતું. તેથી ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન થયું નથી, કારણ કે સદનમાં કોર્ટના આદેશ મુજબ જ એલાન થયું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારના રોજ લોકસભામાં આ અંગેની જાણકારી આપી હતી કે કેબિનેટ દ્વારા અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટનું ગઠન કરવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. આ ટ્રસ્ટ અયોધ્યામાં ભગવાન શ્રીરામના જન્મસ્થળ પર ભવ્ય અને દિવ્ય શ્રીરામ મંદિરનું નિર્માણ અને તેના સાથે જોડાયેલ વિષયો પર નિર્ણય લેવા પૂર્ણ રીતે સ્વતંત્ર હશે.
પીએમ મોદીએ લોકસભામાં જણાવ્યું કે મારી સરકારે અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે અને તેને સંબંધિત અન્ય વિષયો માટે એક બૃહદ યોજના તૈયાર કરી છે.
જો કે ત્યારબાદ અમિત શાહે કહ્યું હતું કે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં 15 ટ્રસ્ટી હશે, જેમાં એક ટ્રસ્ટી હંમેશા દલિત સમાજનો રહેશે. આ અંગેનું એલાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું છે. અમિત શાહે આ અંગેની જાણકારી ટ્વિટર માધ્યમથી કરી છે. શાહે ટવિટ કરતાં કહ્યું કે સામાજિક સોહાર્દને મજબૂત કરનાર આ મહત્વપૂર્ણ નિર્ણય માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવું છું.