રાજકીય પક્ષોને મળતા રોકડ દાનોને ધ્યાનને લઈને ચૂંટણી પંચે એવો પ્રસ્તાવ મૂક્યો છે કે રાજકીય પક્ષો માટે રોકડ દાનની ટોચમર્યાદા રૂ.20,000થી ઘટાડીને રૂ.2,000 કરવામાં આવે
રોકડ દાનને લઈને ચુંટણી પંચનો પ્રસ્તાવ
રાજકીય પક્ષોને મળતા દાનને માર્યાદિત કરવું જોઈએ
રોકડ દાનની મર્યાદા રૂ.20,000થી ઘટાડીને રૂ.2,000 કરવામાં આવે
રાજકીય પક્ષોને મળતા રોકડ દાનોને ધ્યાનને લઈને ચૂંટણી પંચે એવો પ્રસ્તાવ મૂક્યો છે કે રાજકીય પક્ષો માટે રોકડ દાનની ટોચમર્યાદા રૂ.20,000થી ઘટાડીને રૂ.2,000 કરવામાં આવે અને કાળાં નાણાંમાંથી ચૂંટણીદાનને મુક્ત કરવા માટે કુલ દાન માટેની રોકડ મર્યાદા મહત્તમ 20 ટકા અથવા રૂ.20 કરોડ સુધી મર્યાદિત કરવામાં આવે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુને પત્ર લખીને લોકપ્રતિનિધિત્વ ધારામાં કેટલાક સુધારાની ભલામણ કરી હોવાનું સરકારના સૂત્રોએ જણાવ્યું હતું.
કાયદો બનશે તો વધુ પારદર્શિતા આવશે
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે પંચની ભલામણોનો હેતુ રાજકીય પક્ષોને દાનની વ્યવસ્થામાં સુધારો કરવા અને પારદર્શિતા લાવવાનો છે. આ પગલું ત્યારે લેવામાં આવ્યું છે જ્યારે તેણે તાજેતરમાં જ નિયમોનું પાલન ન કરવા બદલ 284 પક્ષોને રજિસ્ટર્ડ લિસ્ટમાંથી દૂર કર્યા હતા. આવકવેરા વિભાગે તાજેતરમાં જ આવી અનેક રાજકીય સંસ્થાઓના પરિસરમાં પણ કરચોરીના આરોપસર દરોડા પાડ્યા હતા.
2000 થી વધુના તમામ દાનની સૂચી બનાવવી જોઈએ
સૂત્રોએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચે એવી હિમાયત કરી છે કે રાજકીય પક્ષોને એક સાથે મળતા રોકડ દાનની મહત્તમ મર્યાદા રૂ.20,000થી ઘટાડીને રૂ.2,000 કરવામાં આવે. હાલના નિયમો મુજબ, રાજકીય પક્ષોએ 20,000 રૂપિયાથી વધુના તમામ દાનનો ખુલાસો કરવો પડશે અને કમિશનને રિપોર્ટ સુપરત કરવો પડશે. સૂત્રોએ જણાવ્યું હતું કે જો કાયદા મંત્રાલય દ્વારા કમિશનના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવે તો 2000 રૂપિયાથી વધુના તમામ દાનની જાણ રાજકીય પક્ષોને કરવી પડશે, જેનાથી પારદર્શિતા વધશે.
ઉમેદવારોએ એક અલગ બેંક એકાઉન્ટ ખોલવું જોઈએ
પંચે એવી પણ ભલામણ કરી છે કે કોઈ પણ રાજકીય પક્ષને મળેલા કુલ દાનમાંથી રોકડ મહત્તમ 20 ટકા અથવા 20 કરોડ રૂપિયા હોવી જોઈએ. ચૂંટણી પંચ પણ ઈચ્છે છે કે ચૂંટણી દરમિયાન ચૂંટણી માટે ઉમેદવારો અલગ બેંક એકાઉન્ટ ખોલે અને તમામ વ્યવહારો આ ખાતામાંથી થાય અને આ માહિતી ચૂંટણી ખર્ચની વિગતોમાં પણ આપવી જોઈએ.