ચૂંટણી પંચે વાઘોડિયા ચૂંટણી અધિકારી પાસે અહેવાલ મંગાવ્યો
વાઘોડિયાના અપક્ષના ઉમેદવાર અને દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવએ વિવાદિત નિવેદન આપ્યું હતું. મારા કાર્યકરની કોઈ કોલર પકડશે તો ઘરમાં જઈ ગોળી મારી દઈશ તેવું નિવેદન આપ્યું હતું. જેને લઇને વિરોધનો સૂર ઉઠ્યો છે. બીજી બાજુ મધુ શ્રીવાસ્તવના ધમકીભર્યા નિવેદનને લઇને ચૂંટણી પંચ એક્શનમાં આવ્યું છે.
મધુ શ્રીવાસ્તવ સામે આચારસંહિતા ભંગ અંગેની કાર્યવાહી થઈ શકે છે
આ મામલે ચૂંટણી પંચે વાઘોડિયા ચૂંટણી અધિકારી પાસે અહેવાલ મંગાવ્યો છે. આદર્શ આચાર સંહિતાનો ભંગ થયો છે કે કેમ તેનો અહેવાલ આપવા આદેશ કરવામાં આવ્યો છે. આથી અહેવાલ બાદ મધુ શ્રીવાસ્તવ સામે આચાર સંહિતા ભંગ અંગેની કાર્યવાહી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ભાજપે ટિકિટ કાપતા નારાજ મધુ શ્રીવાસ્તવએ અપક્ષથી ઉમેદવારી નોંધાવી છે.
શું હતો સમગ્ર મામલો?
વડોદરાની વાઘોડિયા બેઠક પર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું ભાજપમાંથી પત્તું કપાય બાદ તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. અપક્ષમાંથી ફોર્મ ભરતા સમયે રેલી કાઢતી વેળાએ મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, મારા કાર્યકરને કોઈનાથી ડરવાની જરૂર નથી. હું હજી પણ બાહુબલી છું. મારા કાર્યકરનો કોઈ કોલર પકડશે તો ઘરમાં જઈ ગોળી મારી દઈશ. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, મારા વિરોધીઓને ચેતવણી છે કે, આ ઇલેક્શન છેલ્લી પાયરીનું રહેશે. મહત્વનું છે કે, વડોદરાની વાઘોડીયા બેઠકના ભાજપના બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપવામાં આવી હતી. વાઘોડીયા બેઠક પર ભાજપમાંથી અશ્વિન પટેલને ટિકિટ મળતા રાજકારણ ગરમાયું છે. ત્યારે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ છે. ત્યારે અશ્વિન પટેલએ વડોદરા જીલ્લા ભાજપ પ્રમુખ છે.
છેલ્લા 6 ટર્મથી આ બેઠક પર શ્રીવાસ્તવનો દબદબો
વાઘોડિયા વિધાનસભા બેઠક વડોદરા જિલ્લામાં આવેલી છે અને વડોદરા લોકસભા બેઠક હેઠળ આવે છે. આ બેઠક પર 1962થી 1985 કોંગ્રેસનો કબજો હતો. જે બાદ 1995થી 2017 સુધી એટલે કે 6 ટર્મથી બાહુબલી નેતાની ઓળખ ધરાવતા મધુ શ્રીવાસ્તવ જીતતા આવ્યા છે.