EVM પર કમળ એટલે કે ભાજપના ચૂંટણી ચિન્હ નીચે ભાજપનું નામ હોવાથી વિપક્ષી દળોએ વાંધો ઉઠાવ્યો છે. શનિવારે કોંગ્રેસ, તૃણમૂલ અને અન્ય દળોના નેતાઓ આ અંગે મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોડા સાથે મુલાકાત કરી ફરિયાદ કરી હતી. ચૂંટણી પંચે આ ફરિયાદનો જવાબ આપતા જણાવ્યું કે, બેલેટ પેપર પર આવું કંઈ જ નથી, જેના ચિન્હની સાથે પાર્ટીનું નામ પણ દેખાઈ રહ્યું હોય. પંચે વધુમાં કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના ચિન્હમાં છેલ્લે 2013માં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 2014 લોકસભા ચૂંટણીમાં તે જ ડિઝાઈનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વિપક્ષ નેતાઓમાં કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી, અહેમદ પટેલ, તૃણમૂલના દિનેશ ત્રિવેદી, ડેરેક ઓ બ્રાયન સામેલ હતા. મુખ્ય ચૂંટણી અધિકારી સાથેની મુલાકાત બાદ સિંઘવીએ કહ્યું કે, ઈવીએમ પર ચિન્હની સાથે ફક્ત ભાજપ જ લખેલું જોવા મળ્યું હતું. આ સિવાય તેની પર અન્ય કોઈ પક્ષનું નામ ન હતું. આવા તમામ ઈવીએમ મશીન લોકસભા ચૂંટણીના અન્ય તબક્કાઓમાંથી હટાવવામાં આવે અથવા તો અન્ય તમામ દળોના નામ ઈવીએમ પર લગાડવામાં આવે. સાથે જ હવે આ મશીનોનો ઉપયોગ અટકાવી દેવામાં આવે તેવી માગ કરાઈ છે.
બૈરકપુર બેઠક પરથી તૃણમૂલ ઉમેદવાર દિનેશ ત્રિવેદી એ કહ્યું કે આ સ્પષ્ટ રીતે દેશની જનતા સાથે દગો અને ઈવીએમને હેક કરવાનો પ્રયાસ છે. શુક્રવારે અધિકારી ઈવીએમ લઈને મારા વિસ્તારમાં આવ્યા હતા. અમે જોયું કે કમળના નિશાનની નીચે ભાજપનું નામ લખેલું હતું. અમારા કાર્યકર્તાઓએ રાજ્યના ચૂંટણી અધિકારીઓ સામે વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ તેમણે કોઈ કાર્યવાહી કરી ન હતી.
વિપક્ષના સવાલનો જવાબ આપતા ચૂંટણી પંચે કહ્યું કે, ભાજપનું ચિન્હ છેલ્લે 2013માં અપડેટ કરવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધી કોઈ ફેરફાર કરવામાં આવ્યાં નથી. જો કે, ઈવીએમમાં પાર્ટીઓના ચૂંટણી ચિન્હ સાથે ઉમેદવારોના નામ અને ફોટા સામેલ હોય છે.
ચોથા તબક્કામાં મતદાનના ઠીક 1 દિવસ પહેલા EVMમાં ભાજપના સિમ્બોલની સાથે પાર્ટીના નામ વાળી ફરિયાદ ચૂંટણી પંચ તરફથી ખારિજ થવી, EVM પર વિપક્ષની લડાઇ માટે એક ઝટકો માનવામાં આવી રહ્યો છે.