અમદાવાદની ઓઢવ GIDCમાં હાઉસિંગ સોસાયટીમાં ચૂંટણીનો બહિષ્કારનો સૂર ઉઠ્યો છે. વર્ષોથી વણઉકેલાયા પડતર પ્રશ્નોને લઇને લોકોની ધીરજ ખૂંટી હતી અને તમામ લોકોએ એક સંપ થઇને સોસાયટી બહાર મતદાન બહિષ્કારના બોર્ડ લગાવી દિધા હતા. એક પણ પક્ષ અહીં મત લેવા કે પ્રચાર માટે ન આવવા બોર્ડમાં સ્પસ્ટ સૂચના આપી દેવમાં આવી છે. ચૂંટણી વખતે માત્ર વાયદા કરી નેતાઑ ચાલ્યા જતાં હોય છે. બાદમાં કામગીરી શૂન્ય હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે.
અરવલ્લી, સાબરકાંઠાના ગામોમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી
અરવલ્લીના બાયડમાં ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ચેહવાના મુવાડાના ગ્રામજનોએ રોડ નહીં તો મત નહીંના બેનરો લગાવ્યા છે. આઝાદીના 75 વર્ષ બાદ પણ ગ્રામજનો રોડ-રસ્તાથી વંચિત હોય અને ગામમાં પાકા રોડ-રસ્તા ન બનતા લોકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેને લઇને ગ્રામજનોની હવે લડી લેવાના મુડમાં છે. બીજી બાજુ સાબરકાંઠાના પેઢમાલામાં પણ લોકોએ ચુંટણીનો બહિષ્કાર કર્યો હતો. જેને લઇને હિંમતનગર તાલુકા વિકાસ અધિકારીએ મુલાકાત લીધી હતી. જેમણે ગ્રામલોકોને સમજાવવા પ્રયાસ કર્યો કર્યો હતો. ગ્રામલોકોએ વિવિધ માંગ સાથે ચૂંટણીનો બહિષ્કાર કરી બેનરો લગાવ્યા હતા.
બામણબોરના ગ્રામજનોએ મતદાન બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી
સુરેન્દ્રનગરના બામણબોરની કેમિકલ કંપનીએ ઝેરી પાણી છોડતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. બીજી બાજુ ઝેરી પાણી છોડાતા જમીનના તળ બગડ્યા હોવાની લોકો રાવ કરી રહ્યા છે. આ અંગે અનેક ફરિયાદો છતાં કોઇ નિરાકરણ ન આવ્યું હોવાનો ખેડૂતો દાવો કરી રહ્યા છે. બીજી તરફ આ મામલે આકરા પાણીએ થયેલા સ્થાનિકોએ મતદાન બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારતા ચર્ચા જાગી છે. ફેક્ટરી સામે ગ્રામ પંચાયતે ઉચ્ચકક્ષાએ અનેક ફરિયાદ કરી છતા કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે.