બદલાતા સમયમાં સામાજિક સંબંધોમાં સ્વાર્થવૃત્તિએ કેવો પગપેસારો કરી લીધો છે તેનો આંખ ઉઘાડનારો કિસ્સો અમદાવાદમાં અમરાઈવાડી વિસ્તારમાં સામે આવ્યો છે. ઘડપણમાં માતાની લાકડી અને તેની આંખો બનવાના બદલે સગાપુત્રએ એક વૃદ્ધ માતાને માર મારીને ઘરબહાર કાઢી મૂકી. વૃદ્ધાવસ્થાને પણ વટાવવાની ઉંમરે પહોંચેલા વડીલના ચહેરા પર જેટલી કરચલીઓ છે તેથી અનેકગણા અરમાનો તેમણે પુત્રને સુખી કરવાના સેવ્યા હતા. એ માટે તેમણે અનેક દુ:ખ સહન કર્યા હતા. તેમને ક્યાં ખબર હતી કે, તેઓ જે પુત્ર માટે રાત-દિવસ એક કરે છે તે પુત્ર જ તેમને આ ઘરમાંથી હડધૂત કરીને બહાર કાઢી મૂકશે.
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા ભારતીનગરમાં રહેતા વિજયાબેન નામના આ વૃદ્ધ માતાને તેમના સગા દીકરાએ માર મારીને કાઢી મુક્યા છે. સંતાનોઓએ વૃદ્ધ માતા-પિતા માટે હાથની લાકડી અને આંખની રોશની બનવાનું હોય છે. પરંતુ કળયુગના પુત્ર અને તેની પત્ની પાસે આ વૃદ્ધ વિજયાબેને આંખના ઓપરેશન માટે મદદ કરવા કહ્યું તો પુત્ર અને પુત્રવધૂએ તેમને માર મારીને ઘરની બહાર કાઢી મુક્યા. તેમના પુત્રનું નામ દિનેશ છે. તેઓ ત્રીજા નંબરના સંતાન છે. વિજયાબેનને ત્રણ ત્રણ સંતાન હોવા છતાં એકલા જ રહેવું પડે છે. સંતાનો માત્ર થોડી હાથખરચી આપીને પોતાની જવાબદારી પૂરી થયાનું સમજી રહ્યા છે. આ ઉંમરે ખોરાકના ખર્ચ કરતા દવાદારૂના ખર્ચ વધારે હોય છે. જે ખર્ચ આપવાની જવાબદારીથી તેમના પુત્રો છટકી રહ્યા છે. વિજયા બાને હાલ આંખનું ઓપરેશન કરાવવાની જરૂર છે. તેની સારવાર કરાવવાની વાત તો દૂર રહી ઉલટાનું તેમનો દિનેશ નામનો દીકરો વિજયા બાના ઘરને પચાવવી પાડવાની મેલી મુરાદ સેવી રહ્યો છે. આવા આક્ષેપ વિજયાબેન કરી રહ્યા છે. જો કે, તેમના પુત્ર આ આક્ષેપોનું ખંડન કરી રહ્યા છે.
દીકરાએ માર મારતા વિજયાબેનની વહારે તેમની પૌત્રી આવી છે. તેમણે સૌપ્રથમ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. પરંતુ અમરાઈવાડી પોલીસે એપ્લિકેશન લીધા બાદ પણ ફરિયાદ નોંધી નહી. માતાએ પોતાની સામે ફરિયાદ નોંધાવી છે તેવી જાણ થતાં પુત્ર દિનેશ ફરીવાર ઉશ્કેરાઈ ગયો હતો. અને પોતાની પત્ની સાથે મળીને વૃદ્ધ માતાને માર મારીને ઘરમાંથી કાઢી મુક્યા હતા. આખરે વૃદ્ધ માતાએ તેમની પૌત્રીની મદદથી ઝોન-5 ડીસીપી અક્ષયરાજશસિંહ મકવાણા પાસે ન્યાયની ધા નાખી. જેમની મદદથી આખરે અમરાઈવાડી પોલીસે ફરિયાદ નોંધવી પડી છે.
આ પ્રકારની ઘટનાઓ સમાજ માટે શરમજનક છે. આજે બદલાતી જતી કૌટુંબિક વ્યવસ્થા અને વિભક્ત કુંટુંબો એકલતા દૂર કરવા શ્વાન અને અન્ય પ્રાણીઓને ઘરમાં પાળે છે પરંતુ વૃદ્ધ માતા- પિતાને સાથે રાખવા અને તેમની વૃદ્ધત્વની જરૂરિયાતો પૂરી કરવા માટે તેમની કોઇ તૈયારી નથી. તેમની પાસે સમય નથી. વૃદ્ધાશ્રમો વધવા પાછળનું આ મોટું કારણ છે. સમાજમાં ધાર્મિક સહિષ્ણુતા જ નહી, કૌટુંબિક સહિષ્ણુતા પણ જરૂરી છે.