એકનાથ શિંદે જૂથે ઉદ્ધવ ઠાકરે જૂથને વધુ એક ફટકો આપ્યો છે. આદિત્ય ઠાકરેના મત વિસ્તારના શિવસેનાના 100 જેટલા નેતાઓ અને કાર્યકરો એકનાથ શિંદે જૂથમાં જોડાયા છે.
શિવસેનાના બંને જૂથો વચ્ચે તકરાર
આદિત્ય ઠાકરેના મત વિસ્તારના નેતાઓને તોડ્યા
100 જેટલા કાર્યકરો શિંદે જુથમાં જોડાયા
શિવસેનાના બંને જૂથો વચ્ચે સતત ખેંચતાણ ચાલી રહી છે. હવે એકનાથ શિંદે જૂથે ઉદ્ધવ ઠાકરે જૂથને વધુ એક ફટકો આપ્યો છે. પૂર્વ મંત્રી અને વરલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય આદિત્ય ઠાકરેના મત વિસ્તારના શિવસેનાના 100 જેટલા નેતાઓ અને કાર્યકરો એકનાથ શિંદે જૂથમાં જોડાયા છે. એક તરફ દશેરા રેલીને લઇને શિવસેના દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેના માટે તેણે હાઇકોર્ટની મંજૂરી મેળવી લીધી છે. તો બીજી તરફ નેતાઓના ભંગાણના કારણે તેને ઝટકો લાગ્યો છે. દરમિયાન ઉદ્ધવ ઠાકરે જૂથે એકનાથ શિંદે જૂથ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે તેમના દ્વારા યોજાનારી દશેરાની રેલી ચોરોની સભા છે.
શિવસેનાએ ભાજપનું કાવતરું ગણાવ્યું
શિવસેનાએ કહ્યું કે એકનાથ શિંદે જૂથના પાર્ટી પરના દાવાને લઈને કહ્યું ભાજપનું આ કાવતરું છે. શિવસેનાએ કહ્યું કે એકનાથ શિંદે પોતાને પાર્ટીના દાવેદાર બતાવવા પાછળનું દિમાગ તેમનું નથી. આ સિવાય શિવસેનાએ એકનાથ શિંદે પર પ્રહાર કરતા કહ્યું કે જો તમારામાં હિંમત હોય તો અલગ પાર્ટી બનાવો અને બતાવો. ઉદ્ધવ ઠાકરે જૂથે કહ્યું હતું કે ઇડીના ડરથી એકનાથ શિંદેએ શિવસેના છોડીને ભાજપમાં જવાનો નિર્ણય કર્યો હતો.
ત્રણ પક્ષોના નેતાઓ જોડાશે શિંદે સાથે
શિવસેનાને શિવાજી પાર્ક ખાતે રેલી યોજવા માટે બીએમસી તરફથી મંજૂરી મળી રહી ન હતી. આના પર શિવસેનાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને એકનાથ શિંદેએ પણ કોર્ટમાં અરજી કરી હતી. અહીં કોર્ટે ઉદ્ધવ ઠાકરે જૂથની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને બીએમસીને નિયમ મુજબ રેલી યોજવાની મંજૂરી આપવાનો આદેશ આપ્યો હતો. રવિવારે શિવસેનાના 100 કાર્યકર્તાઓ ઉપરાંત એકનાથ શિંદે જૂથે શરદ પવારની પાર્ટી એનસીપી અને રાજ ઠાકરેની મનસેની જનતાને તોડવાનો પણ દાવો કર્યો હતો. શિંદે જૂથના નેતાઓએ જણાવ્યું હતું કે ત્રણેય પક્ષો સહિત કુલ 1,000 નેતાઓ અને કાર્યકર્તાઓ તેમની સાથે જોડાવાનો નિર્ણય લીધો છે.