રસોડામાં રહેલી વસ્તુઓનો ઉપયોગ કરીને નાની-નાની સમસ્યાઓને દૂર કરી શકાય છે. એવી જ એક ઔષધી આપણાં રસોડામાં રહેલી છે અને તેનું નામ છે હળદર. હળદરના જો કેટલાક નુસખાઓ કરવામાં આવે તો તે સો ટકા રિઝલ્ટ આપે છે અને સમસ્યાને દવાઓ વિના જ ઠીક પણ કરી દે છે. તો આજે અમે તમારા માટે હળદરના એવા જ બેસ્ટ અને કામના નુસખા લઈને આવ્યા છે. ચાલો જાણી લો.
મોં પરના કાળા ચકામાં અથવા ફોલ્લીઓ પર અડધી ચમચી હળદર પાઉડર, અડધી ચમચી ચંદન પાઉડર અને કડવા લીમડાના 3-4 પાંદડાને વાટી મિક્સ કરીને લગાવવાથી ડાઘ અને ફોલ્લીઓ મટી જાય છે. તેનાથી ચહેરાની સુંદરતા પણ વધે છે.
શરીરમાં ક્યાંય મચકોડ આવે તો એક જાડી રોટલી બનાવી તેના પર સરસિયાનું તેલ તથા હળદર નાખી, ગરમ રોટલીને મચકોડવાળી જગ્યાએ બાંધવાથી સોજામાં તથા મચકોડમાં તરત લાભ થાય છે.
જો ક્યારેય દાઝી જાઓ કે કંઈ કપાઈ જાય તો હળદર પાઉડરને લગાવી દેવાથી ત્યાં લોહી નીકળતું બંધ થઈ જાય છે. દાઝ્યા પર ફોલ્લા પણ પડતા નથી.
અડધી ચમચી હળદરને થોડી શેકીને મધ સાથે લેવાથી ગળું બેસી જવું તથા ઉધરસ જેવી સમસ્યામાં રાહત મળે છે.
દરરોજ 1 નાની ચમચી હળદર પાઉડર 1 ગ્લાસ ગરમ દૂધમાં નાખી પીવાથી શરીરની રોગ પ્રતિરોધક શક્તિમાં વૃદ્ધિ થાય છે. શરદી થતી નથી. શરીરનો દુખાવો, ઇજા તથા પીડામાં પણ લાભ થાય છે.
અડધી ચમચી હળદર, થોડું મીઠું અને થોડું સરસિયાનું તેલ મેળવી દરરોજ આંગળી વડે પેઢાની માલિશ કરવાથી પાયોરિયા, મોઢાંની દુર્ગંધ તથા દાંતના રોગમાં અત્યંત લાભ થાય છે.
સૂતી વખતે શેકેલી હળદરનો ટુકડો ચુસવાથી ઉધરસ, કાકડા અને ગળાના રોગોમાં લાભ થાય છે.
હળદરને શુદ્ધ ઘીમાં મિક્ષ કરી હરસ-મસા પર લગાવવાથી બહુ જલ્દી રાહત મળે છે અને બળતરા પણ દૂર થાય છે.