શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરી શાળાઓને વેક્સિનના બંને ડોઝ લેવા અને શિક્ષણ કાર્ય ઓનલાઈન અને ઓફલાઈન વર્ગો ચાલુ રાખવાનો નિર્દેશ કર્યો છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો
શિક્ષણ વિભાગે સ્કૂલોને કર્યા સૂચનો
ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવા સૂચના
ગુજરાતમાં ફરી કોરોના કેસ વધી રહ્યા છે, એકાએક કોરોના સંક્રમણ વધતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે બાળકોમાં પણ કોરોનાનું પ્રમાણ વધતા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરી શાળાઓને નિર્દેશ કર્યો અને કોરોનાને લઈને શિક્ષકોને અને બાળકોને તકેદારી રાખવા માટેના આદેશ કર્યા છે..
શિક્ષણમંત્રીએ શાળાઓ બંધ કરવા પર નનૈયો ભણ્યો
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટ શબ્દોમાં શાળાઓ બંધ કરવા પર નનૈયો ભણ્યો છે. જીતુ વાઘાણીએ આડકતરી રીતે કહ્યું કે, કોરોના સામે હિંમતથી અને તકેદારીથી લડવાનું છે.જોકે કોરોનાના કેસ વધતા શિક્ષણ વિભાગે પરિપત્રના માધ્યમથી શાળાને સૂચનો કર્યા છે. ધોરણ 1થી 12ની શિક્ષણ બોર્ડ સંલગ્ન શાળાઓને સૂચનો તેમજ નિર્દેશ કરાયા છે. જેમાં સ્ટાફ દ્વારા વેક્સિનના 2 ડોઝ સુનિશ્ચિત કરવા આવે તેવી સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં જો વિદ્યાર્થીમાં કોરોનાના લક્ષણો જણાય તો આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા તેમજ વિદ્યાર્થી અંગે DEOને પણ જાણ કરવા આદેશ અપાયા છે સાથે શિક્ષકોને ઓફલાઈન સાથે ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવાનું પણ કહેવામાં આવ્યું છે. રાજ્યની શાળાઓમાં બાળકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે શાળાઓને બંધ ન કરવાના નિર્ણય સામે સવાલ ઉઠી રહ્યાં છે.વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓ સંક્રમિત થશે તો તેના માટે જવાબદાર કોણ તેવા પણ સવાલ થઈ રહ્યા છ.ત્રીજી લહેરની સંભવિતતા વચ્ચે બાળકોના આરોગ્ય સાથે આવું જોખમ લેવું કેટલું યોગ્ય તેમ જાણકારો કરી રહ્યા છે.
વડોદરામાં બે શાળામાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ
મહત્વનું છે કે વડોદરામાં હરણીની સિંગન્સ સ્કૂલમાં ધોરણ-6માં અભ્યાસ કરતો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે વિદ્યાર્થી આફ્રિકાથી આવેલા ઓમિક્રોન સંક્રમિત દંપતિના સંપર્કમાં આવ્યો હતો. વિદ્યાર્થી પોઝિટિવ આવતા ધોરણ-6ના વર્ગખંડનું ઓફલાઈન શિક્ષણ બંધ કરાયું છે. વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા અન્ય વિદ્યાર્થીના ટેસ્ટ કરાયા છે. સાથે વિદ્યાર્થીના સેમ્પલ જિનોમ સિક્વન્સીંગ માટે પણ મોકલાયા છે. ઉલ્લેખનિય છે કે શહેરમાં 7 દિવસમાં 3 વિદ્યાર્થી અને શિક્ષક કોરોના સંક્રમિત થયા છે..તો નવરચના સ્કૂલના 2 વિદ્યાર્થી અને સિંગન્સ સ્કૂલનો 1 વિદ્યાર્થી પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.
21 ડિસેમ્બર થી 4 જાન્યુઆરી સુધી જાહેરનામું લાગુ રહેશે
વડોદરામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે, શહેરમાં 4 કે તેથી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે આ જાહેરનામું 21 ડિસેમ્બર થી 4 જાન્યુઆરી સુધી જાહેરનામું લાગુ રહેશે. જાહેરનામાં મુજબ જાહેર સ્થળો પર સભા કરવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે નિયમ ભંગ કરનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી થશે તેવું કહેવાયું છે.