શાળા એટલે માત્ર વર્ગખંડોનો સમૂહ ન હોવો જોઈએ. તેમાં ભણતા અને રમતા બાળકો પણ હોવા જોઈએ. જોકે છેલ્લાં કેટલાંક વર્ષોથી વાલીઓ પોતાના સંતાનોને ભણાવવા તરફ વધારે અભિમુખ બન્યા છે. તો સાથે સાથે દાતાશ્રીઓ પણ કેળવણીને પ્રોત્સાહન આપવા શાળમાં સુવિધાઓ ઉભી કરવા યોગદાનની સરવાણી વહાવી રહ્યા છે. પરંતુ શાળામાં મહત્ત્વનું કહી શકાય તેવાં શિક્ષકનું જ સ્થાન ખાલી હોય તો શિક્ષણનો રથ આગળ કઈ રીતે વધી શકે? અરે શિક્ષક વિનાની શાળાની કલ્પના જ કઈ રીતે થઈ શકે? પરંતુ રાજ્યમાં અનેક પ્રાથમિક શાળાઓ એવી છે. જ્યાં પૂરતા શિક્ષકોના અભાવે બાળકોનું ભવિષ્ય રૂંધાઈ રહ્યું છે. જોઈએ આવી જ એક શાળાનો આ રિપોર્ટ.
પ્રાથમિક શાળામાં ભણવા બેસી જવા આકર્ષી જાય સુંદર મકાન છે. સુંદર મજાનું શાળાનું આ મુખ્યપ્રવેશ દ્વાર છે પરંતુ શાળામાં ભણવા માટે આટલું જ પૂરતું નથી. શાળામાં જ્ઞાનના રથને વહન કરાવનારા શિક્ષકોએ શાળાની પાયાની જરૂરિયાત છે.
જ્યારે કોઈ શાળામાં પરતા શિક્ષકો નથી હોતા તો તે શાળા નહીં પરંતુ વિધ્યાર્થીઓના ભવિષ્યને રુંધતું માત્ર સ્થળ બની જાય છે. આવી શાળા જોવા માટે દુર ક્યાંય જવાની જરૂર નથી આ શાળા જ જોઈલો. ગઢડા તાલુકાના રસનાળ ગામે આવેલી પ્રાથમિક શાળાતો સુંદર છે. બાળકો પણ પૂરતાં છે પરંતુ આ શાળામાં શિક્ષકોની જ ખોટ વર્તાઈ રહી છે. 1થી 8 ધોરણ સુધીની રસનાળ પ્રાથમિક શાળામાં મહેકમ તો સાત શિક્ષકોનું છે પરંતુ હાલમાં માત્ર 3 શિક્ષકોની જ ભરતી થઈ છે.
રાજ્ય સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન ચલાવીને ભણે સૌ આગળ વધે તેવું સૂત્ર વહેતું કરાયું છે. જેના કારણે ગામડામાં વસતાં વાલીઓ પણ પોતાના બાળકોને ભણાવવા તરફ અભિમુખ બન્યા છે પરંતુ ભણશે ગુજરાત સૂત્રોચ્ચારમાં મસ્ત સરકાર અભ્યાસ માટે આતુર વિદ્યાર્થીઓ માટે પૂરતા શિક્ષકોની ભરતી કરવાનું જ ભૂલી ગઈ છે.
જેના કારણે આ શાળામાં બબ્બે ધોરણના વિધ્યાર્થીઓને એક જ વર્ગખંડમાં સાથે બેસાડવા પડે છે. શિક્ષકોની ઘટ હોવાના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણકાર્ય પર પણ અસર પડી રહી છે. બાળકોને શિક્ષણનો અધિકાર છે પરંતુ સરકાર શિક્ષકોની ભરતી કરવામાં પોતાની ફરજ ચૂકી ગઈ છે. સરકારી શાળામાં એક તો અપૂરતા શિક્ષકો છે પાછું શિક્ષકો પાસેથી શિક્ષણકાર્ય સિવાયનું પણ કામ લેવાઈ રહ્યું છે જેની અસર પણ વિદ્યાર્થીઓના પાયાના ઘડતર પર પડે છે.
સરકાર જાણે માત્ર પોતાની ફરજ પૂરતાં પ્રવેશોત્સવ ઉજવીને સંતોષ માની લે છે. બાળકોના ઘડતરના સરવૈયા માટે ગુણોત્સવ પણ યોજે છે પરંતુ જે શાળા માટે પાયાની જરૂરિયાત છે તે પર્યાપ્ત શિક્ષકોની ભરતી કરવાનું કામ સરકાર ક્યાંકને ક્યાંક ચૂકી ગઈ છે. નહીતર અનેક શાળાઓની હાલત શિક્ષણવિહોણી ન હોત. એક ક્લાસમાં બે ક્લાસના વિધ્યાર્થીઓનું થતું શિક્ષણકાર્ય બાળકોની ગ્રહણ કરવાની ક્ષમતા સામે મજાક નહીં તો બીજું શું છે?
શાળા જો બાળકો માટે જ્ઞાનગંગા છે તો આ ગંગા પર શિક્ષણની નૌકાના વાહકો ખુદ શિક્ષકો છે. વિધ્યાર્થીઓને મંઝિલે પહોંચાડવામાં મદદ કરનારા નાવિક રૂપ શિક્ષકો જ શાળામાં નહીં હોય તો વિદ્યાર્થીઓની નાવ ગમે ત્યારે ડૂબી શકે છે. જવાબદારતંત્ર બાળકોના ભવિષ્ય સાથે થતાં ચેડાં હવે અટકાવે તે માંગ છે.