ગુજરાતમાં ધોરણ 9 અને 11ના પરિણામ અંગે હવે માર્કશીટ તૈયાર કરવા માટેના નિયમો જાહેર કરવામાં આવ્યા છે
ધોરણઃ 9, 11 માં 70 માર્ક્સના આધારે પરિણામ તૈયાર થશે
માર્કશીટ અંગેના નિયમો જાહેરઃ
પાસ થવા માટે ખૂટતા માર્ક્સ સિદ્ધિ-કૃપા ગુણથી અપાશે
રાજ્યભરમાં કોરોના મહામારીના પગલે ફરી એક વાર સ્કૂલો બંધ કરી દેવામાં આવ્યા બાદ ધોરણ-૧ થી ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. મે મહિનામાં યોજાયેલી ધોરણ-10 અને 12ની બોર્ડની પણ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.
હવે માર્કશીટ તૈયાર કરવા માટેના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. તે મુજબ ધોરણ-9 અને 11ના વિદ્યાર્થીઓની 50 ગુણની પ્રથમ કસોટી અને ર૦ ગુણ આંતરિક મૂલ્યાંકનના મળીને કુલ 70 માર્ક્સના આધારે પરિણામ તૈયાર કરવામાં આવશે.
કૃપા ગુણ પણ મેળવી શકાશે
પરીક્ષામાં પાસ થવા માટે ખૂટતા માર્ક્સ સિદ્ધિ ગુણ અને કૃપા ગુણ આપીને પૂર્ણ કરાશે. આચાર્ય 10 કૃપા ગુણ આપી શકે તે જોગવાઈ આ વર્ષ પૂરતી રદ કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીને પાસ થવા માટે ખૂટતા ગુણ આચાર્ય કૃપા ગુણ તરીકે આપી શકશે.
જુઓ માર્કસની વહેંચણી
ધોરણ-9 અને ધોરણ-11ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના આંતરિક મૂલ્યાંકન માટે સામાયિક કસોટીના 10 ગુણ, નોટબુક સબમિશનના 5 ગુણ, સબ્જેક્ટ એનરિચમેન્ટ એક્ટિવિટીના 5 ગુણ એમ કુલ 20 ગુણ નક્કી કરવામાં આવ્યા છે. ધોરણ-11 સામાન્ય પ્રવાહ માટે ટર્મ પેપર-સ્વાધ્યાયના 10 ગુણ, પુસ્તકાલયમાંથી ઉપયોગી પુસ્તકના અવલોકનના 5 ગુણ અને પ્રોજેક્ટ્સના પ ગુણ મળીને 20 ગુણનું ગુણાંકન કરવાનું રહેશે.
70 ગુણમાંથી મેળવેલા ગુણને 100 ગુણમાં રૂપાંતરિત કરીને પરિણામ તૈયાર કરવાનું રહેશે, જેથી વિદ્યાર્થીને રૂપાંતરિત થયા બાદ વિષયમાં 33 કરતાં વધુ ગુણ આવે તો તેને પાસ જાહેર કરાશે, પરંતુ 33 કરતાં ઓછા ગુણ હોય તો દરેક ટકાદીઠ 1 ગુણ તેમ વધુમાં વધુ 15 ગુણની મર્યાદામાં રહીને પાસ થવા માટે ખૂટતા ગુણ આપી શકાશે.