અમદાવાદઃ ફી નિયમનને લઇને SCના મધ્યસ્થ ચુકાદા પર શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન કર્યુ હતું. તેમણે જણાવ્યુ હતું કે રાજ્ય સરકારની અપીલ સુપ્રીમ કોર્ટે માન્ય રાખી છે. રાજ્ય સરકારને ફી નિયમન કરવાનો અધિકાર છે તે સાબિત થઇ ગયું છે.
વધુમાં કહ્યું કે સરકાર હંમેશા વાલીઓની સાથે જ છે. કોંગ્રેસ બે મોઢાની વાતો કરવાનું બંધ કરે. કોંગ્રેસે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ. સુપીમ કોર્ટમાં કોંગ્રેસના આગેવાન કપીલ સિબ્બલ સંચાલકોનો કેસ લડે છે. અહીં કોંગ્રેસ વાલીઓને ઉશ્કેરવાનું કામ કરે છે.
ફી નિયમન કાયદો શું છે અને કાયદો સરકાર દ્વારા કયારે ઘડાયો ?
સેલ્ફ ફાઇનાન્સ સ્કુલો દ્વારા થતી ઉઘાડી લૂંટ સામે સરકારે ફી નિયમનનો કાયદો ઘડયો હતો. ફી નિર્ધારણ કમિટીની સરકારે જાહેરાત કરી હતી. વિધાનસભામાં 30 માર્ચ 2017ના રોજ આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો. કાયદાના નિયમો 7 એપ્રિલના રોજ જાહેર થયા હતા. 25 એપ્રિલ 2017થી કાયદાનો અમલ શરૂ થયો હતો.
જેમાં પ્રાથમિક શાળા માટે 15 હજાર માધ્યમિક શાળા માટે 25 હજાર ઉચ્ચતર માધ્યમિક માટે 27 હજાર ફી નિર્ધારીત કરાઇ હતી. નિર્ધારીતથી વધુ ફી લેવાતા સ્કુલો સામે રેગ્યુલેટરી કમિટીમાં અરજી કરવાની હતી. 24 મે સુધીમાં સ્કુલોએ અરજી કરવાની હતી. ત્યારબાદ સરકાર દ્વારા તારીખ લંબાવાઇ હતી.
અરજીના 90 દિવસમાં કમિટીએ સ્કુલોની ફી નક્કી કરવાની હતી. ગુજરાતની અનેક સ્કુલોએ એક્ટના વિરોધમાં HCમાં અરજી કરી હતી. ફી રેગ્યુલેટરી એક્ટ માટે 80થી વધુ HCમાં પિટીશન થઇ હતી. 30 ઓગસ્ટે આ મામલે અંતિમ સુનાવણી થઇ હતી.