રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી જન આશિર્વાદ યાત્રા દરમિયાન પહોચ્યા ખોડલ ધામ..જ્યાં શિક્ષણ મંત્રી વાઘાણીની 100 કિલો ચાંદીથી થઇ રજતતૂલા.
માં ખોડલને ખોળે શિક્ષણ મંત્રી વાઘાણી
જન આશિર્વાદ યાત્રમાં પહોચ્યા ખોડલધામ
રાજ્યના વિકાસમાં સમાજ બરોબરનો ભાગીદાર
ગુજરાતના નવા સરદાર અને નવી સરકારના કેટલાક મંત્રીઓ જન આશિર્વાદ યાત્રા લઈ લોક સંપર્ક કરી રહ્યા છે.આ અંતર્ગત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી,માં ખોડલને ખોળે ગયા હતા.પાટીદાર સમુદાયના આદય સ્થાન ગણાતા કાગવડના ખોડલ ધામમાં શિક્ષણ મંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ એજ પવિત્ર તીર્થધામ છે જ્યાંથી ચારેક મહિના પહેલા રાજ્યના મુખ્યમંત્રી પાટીદાર હોવાનો સૂચક સૂર ઉઠ્યો અને ગણતરીના મહિનાઓમાં રાજ્ય સરકારનું આખું'ય મંત્રી મંડળ બદલાઈ ગયું. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી માં ખોડલને શરણે જતા ગદગદ થઇ ગયા હતા અને પાટીદાર સમુદાયના પરિશ્રમને યાદ કર્યો હતો.
મનોકામના થઇ પૂર્ણ
ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની આ પદ પરથી વિદાય થયા બાદ ઊંડે ઊંડે લાગણી હતી કે રાજ્ય સરકારના મંત્રી મંડળમાં સ્થાન મળે. સરકાર આખી બદલાતા તેમની ઈચ્છા પણ ફળીભૂત થઇ .તેનો સવિશેષ આનદ તેમના ચહેરા સહીત આત્મવિશ્વાસમાં ઝળકતો હતો. તેમણે રાજ્યમાં પાટીદારોના પરિશ્રમથી વિકાસ કેટલી ઊંચાઈએ આંબી ગયો તે બાબત પર ભાર મુખ્યો હતો.
સામાજિક યોગદાનને વખાણ્યું
ખોડલ ધામ પહોચેલા વાઘાણી પહેલા તો નત મસ્તક થયા.અને ત્યાર બાદ માતાજીનાં દર્શન કરી ધ્વજારોહણ કર્યું હતું. ધ્વજારોહણ કરતાં પહેલાં જિતુ વાઘાણીએ ધ્વજાને માથું ટેકવ્યું હતું. ત્યાર બાદ વાઘાણીની 100 કિલો ચાંદી સાથે રજતુલા થઇ. આ પ્રસંગે, જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે હવે લુખ્ખારાજ ચાલશે નહીં. પાટીદાર સમાજનો પુત્ર છું, એનું મને ગૌરવ છે. ભાજપ અને પાટીદાર સમાજનો વિકાસ થઇ રહ્યો છે. રાજ્યના હિત માટે કાર્ય થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનનાં 20 વર્ષ થયાં છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી વિકાસ કરી રહ્યા છીએ. પ્રસંગોચિત વક્તવ્યમાં પાટીદાર સમાજે રાજ્યના સુશાસનમાં જે ભૂમિકા ભજવી છે અને આગળ પણ આવી જ વિકાસની યશોગાથા સહભાગીતા રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
10 મી સુધી ચાલશે યાત્રા
રાજ્યના મંત્રીઓ 10 ઓક્ટોબર સુધી જન આશિર્વાદ યાત્રાના માધ્યમથી જન પ્રતિભાવ મેળવવા રાજ્યમાં ફરી રહ્યા છે. પ્રજાના પ્રશ્નોથી વાકેફ તો થશે જ સાથોસાથ તેમણે સરકારમાં,આ જન આશિર્વાદ યાત્રાનો પ્રતિભાવ પણ પાઠવવો પડે તો નવાઈ નથી