રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટવાના આરોપો લાગી રહ્યા છે. મહેસાણાના ઉનાવાના પરીક્ષા કેન્દ્રમાં એક ઉમેદવાર પરીક્ષાના સવાલોના જવાબો સાથેની એક કાપલી સાથે ઝડપાતા ભારે વિવાદ શરૂ થયો છે.
વન રક્ષક પરીક્ષામાં ગેરરીતિનો થયો પર્દાફાશ
સાથી ઉમેદવારે આ વિદ્યાર્થીને પરીક્ષામાં ગેરરીતિ ઝડપ્યો
વિદ્યાર્થી જવાબ સાથે રૂમમાં પ્રવેશ્યો હતો
રાજ્યમાં વન રક્ષક વર્ગ-3ની પરીક્ષામાં ગેરરીતિ સામે આવી છે. ઉનાવા શ્રી નાગરિક મંડળ સેન્ટર પર પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. નાગરિક મંડળના 10 વર્ષ જૂના લેટર પેડ પર પરીક્ષા શરૂ થાય તે અગાઉ પ્રશ્નપત્રના જવાબ ફરતા થયા હતા. પરીક્ષામાં પાણી પીવા બહાર આવેલો 10 નંબરના બ્લોકનો વિદ્યાર્થી જવાબ સાથે રૂમમાં પ્રવેશ્યો હતો. રૂમમાં જવાબ સાથે આવતા સાથી ઉમેદવારે પરીક્ષાર્થીને પકડતા ભાંડો ફૂટ્યો છે. સાથી ઉમેદવારે આ વિદ્યાર્થીને પરીક્ષામાં ગેરરીતિ કરતા ઝડપી પાડ્યો હતો. તથા વર્ગ નિરીક્ષકને જણાવતા સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ થયો હતો. પરંતુ ઘટનાને પગલે અન્ય પરિક્ષાર્થીઓએ હોબાળો મચાવ્યો છે. પરીક્ષાના જવાબ સ્કૂલના લેટર પેડ પર પહોંચતા અનેક તર્ક વિતર્ક સર્જાઇ રહ્યા છે. ત્યારે હવે આ મામલે રાજ્ય સરકાર પર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે.
રાજુ ચૌધરી નામના શિક્ષકની અટકાયત, તેણે લેટરપેડ પર જવાબો લખ્યાનો દાવો
પરીક્ષામાં ગેરરીતિ મામલે મહેસાણા પોલીસે રાજુ ચૌધરી નામના યુવકની અટકાયત કરી છે. હાલ તેને વધુ પૂછપરછ માટે ઉનાવા પોલીસ સ્ટેશને લઈ જવાયો છે. રાજુ ચૌધરી ખાનગી પ્રાઇમરી શાળાનો શિક્ષક છે, તેણે લેટરપેડ પર જવાબો લખ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
મુખ્ય નિરીક્ષકે કહ્યું- ઉમેદવાર પર કોપી કેસ અંગેની થશે કાર્યવાહી
ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રીએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. મહેસાણામાં વનરક્ષક પરીક્ષાના પેપર અંગે મુખ્ય નિરીક્ષક અંકિત પટેલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ઉમેદવાર પાસેથી પ્રતિબંધિત સામગ્રી મળી આવી હતી. કાપલી મળી આવતા ઉમેદવાર તરત રોકવામાં આવ્યો હતો. ઉમેદવાર પર કોપી કેસ અંગેની કાર્યવાહી થશે.
આ કોપી કેસ નો કેસ, ઉમેદવાર પર કોપી કેસ કરાયો છે, પેપર નથી ફૂટ્યુઃ વાધાણી
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની આ મામલે પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે VTV સાથે વાતચીતમાં કહ્યું કે, ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પ્રામાણિકતાથી પરીક્ષાઓ લેવાય છે. કોઈ વ્યક્તિ કંઇ કરે તેના પર એક્શન પણ લેવાય છે. આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તેની જવાબદારી સરકારની હોય છે. પહેલા કેવી રીતે પરીક્ષા લેવાતી અને હવે કેવી રીતે લેવાય છે તે સૌ જાણે છે. આ કોપી કેસ નો કેસ છે. ઉમેદવાર પર કોપી કેસ કરાયો છે, પેપર નથી ફૂટ્યુ.
યુવાન પાસેથી ચીઠ્ઠી મળે તેનો મતલબ એવો નથી કે પેપર ફૂટ્યુઃ વાઘાણી
જીતુ વાઘાણીએ કહ્યું કે, ગુજરાત યુનિવર્સિટીને પરીક્ષા લેવાની જવાબદારી સોંપાઇ હતી. કેટલાક લોકો ઉમેદવારોને ગેરમાર્ગે દોરવાનુ કામ કરે છે. યુવાનોને ગેરમાર્ગે દોરવાની પ્રવૃતિ છે. બહાર નીકળેલા યુવાન પાસેથી ચીઠ્ઠી મળે તેનો મતલબ આવો નથી કે પેપર ફૂટ્યુ છે. જેની પાસેથી સાહિત્ય મળ્યુ છે તેની સામે કાર્યવાહી થશે. મહેસાણાના ઉનાવા ગામમાં આ કોપી કેસનો કેસ છે. ઉમેદવાર પર કોપી કેસ કરાયો છે, પેપર ફૂટ્યુ નથી. ગેરરીતિ કરનાર સામે કોપીકેસ કરાયો છે. પરીક્ષા શરૂ થયાના 2 કલાક બાદ કોપીકેસ કરાયો છે. તથ્ય સામે આવશે તો કાર્યવાહી કરવા તૈયાર છીએ.
લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છેઃ વાઘાણી
વધુમાં વાઘાણીએ કહ્યું કે, લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે, સરકાર તથ્ય સામે આવે તો સરકાર તૈયાર છે. સરકાર કોઈને પણ કશુ છુપાવવા નથી માગતી અને કોઇને છોડવા પણ નથી માગતી. જેની પાસે સાહિત્ય મળ્યું છે તેમની સામે કાર્યવાહી થશે.
CCTVમાં જેની પણ ભૂમિકા સામે આવશે તેની વિરૂદ્ધ ફરિયાદ કરીશુંઃ ઉનાવા નાગરિક મંડળના પ્રમુખ
શ્રી ઉનાવા નાગરિક મંડળના પ્રમુખ મહેશ ચૌધરીએ કહ્યું કે, 10 વર્ષ જુના લેટરપેડનો ઉપયોગ કરાયો છે. CCTVમાં જેની પણ ભૂમિકા સામે આવશે તેની વિરૂદ્ધ ફરિયાદ કરીશું. પરીક્ષા સમયે મંડળના લોકો હાજર નથી રહેતા. હાઈસ્કુલના સ્ટાફની સંડોવણી હશે તો પણ કાર્યવાહી કરાશે.
પરીક્ષા આપવા આવેલા ઉમેદવારનો સૌથી મોટો ખુલાસો
વનરક્ષક પેપરમાં થયેલી ગેરરીતિને લઇને વિસનગરથી આવનારા ઉમેદવાર ઉર્વિશ મોદીએ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, એક વિદ્યાર્થી બહારથી સાહિત્ય લઇને આવેલા વ્યક્તિને રાજુ ગઢવીએ પકડી લીધો હતો. ઉમેદવાર જે ચિઠ્ઠી લઇને આવ્યો તેના વિશે મેડમને ફરિયાદ કરી હતી. મેડમ અને ઉપલા અધિકારીએ ચિઠ્ઠી ફાડી નાંખી હતી. અધિકારીઓએ જવાબો ખોટા છે તેમ કહીને ચિઠ્ઠી ફાડી નાંખી. અમે જવાબ ચેક કરવા ચિઠ્ઠી માગી. અમે જવાબ ચેક કર્યા તો જવાબો બધા સાચા હતા. સવાલ એ છે કે D સિરિઝનું પેપર હોવાની જાણ ક્યાંથી થઇ? ક્રમબદ્ધ સાચા જવાબો ક્યાંથી પહોંચ્યા? અમને શંકા છે કે અંદરનું કોઇ આમની સાથે સંડોવાયેલું છે. બીજા ક્લાસમાં જવાબો લખાવતા હોવાની અમને જાણ થઇ છે.
વારંવાર પેપરો ફૂટી રહ્યા છેઃ આપ નેતા ગોપાલ ઇટાલિયા
વન રક્ષકનું પેપર ગેરરીતિ મામલે APP પ્રદેશ પ્રમુખ ઈટાલિયાએ કહ્યું કે મહેનતુ વિદ્યાર્થીઓનુ નસીબ ફૂટ્યુ છે. પેપર ફૂટવાની ઘટના પ્રથમ વખત નથી. વારંવાર પેપરો ફૂટી રહ્યા છે. ઘટનાઓ બાદ કોઈ કાર્યવાહીઓ નથી થતી.
ભાજપના રાજમાં પેપર ફૂટવા એ સામાન્ય બાબતઃ આપ નેતા પ્રવીણ રામ
પેપર ફૂટવા મામલે આપ પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામે કહ્યું કે, ભાજપના રાજમાં પેપર ફૂટવા એ સામાન્ય બાબત છે. પેપર નિષ્પક્ષ પણે આ સરકારથી ના લઈ શકાતા હોય તો ઢાકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. તમારાથી નિષ્પક્ષપણે આયોજન ના થતું હોય તો અમારા જેવા યુવાનો આ પરીક્ષાઓનું સફળતાપૂર્વક આયોજન કરવા તૈયાર છે. ભાજપ માટે હવે કોઈ સારા શબ્દો બચ્યા નથી.
પહેલી વખત હોય તો સમજીએ કે અસામાજિક તત્વો છે, આતો 14-14 વખત પેપર ફૂટ્યાઃ કોંગ્રેસ
વનરક્ષક પેપર ફૂટવાને લઇને કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે, સરકારી ભરતીના કૌભાંડમાં સરકારના જ આશીર્વાદ. સરકારની એક જ વાત ચરમબંધીને છોડવામાં નહીં આવે. સરકારમાં જે રીતે ભરતી ચાલી રહી છે તેમાં ભ્રષ્ટાચાર છે. એલઆરડીનું હોય કે બિન સચિવાલય હોય કે વન રક્ષકનું પેપર હોય તેમાં ગેરરીતિઓ થાય છે. તેનાથી સાબિત થાય છે કે મધ્યપ્રદેશની જેમ ગુજરાતમાં પણ સરકારી ભરતમાં વ્યાપક કૌભાંડ ચાલે છે. 4 વર્ષ બાદ ફરી પરીક્ષા લેવાની ગોઠવણી થઇ ત્યારે પરીક્ષામાં મોટાપાયે ગેરરીતિ સામે આવી છે. પહેલી વખત પેપર ફૂટે તો સમજી શકાય કે અસામાજિક તત્વોએ પેપર ફોડ્યું છે. પણ 14-14 વખત પરીક્ષાના પેપર ફૂટે આ બધી પરીક્ષામાં સરકાર મોટા માથાને બચાવે છે એટલે જ આવી કરતૂતો થઇ રહી છે. રાજ્યના મુખ્યમંત્રીને રાજ્યના યુવાનોની ચિંતા હોય તો વિદ્યાર્થીઓ અને વાલીઓની માફી માંગવી જોઈએ.
ગૌણ સેવા દ્વારા પરીક્ષા લેવાની હતી પણ અંત ઘડીએ ગુજ. યુનિ દ્વારા લેવાયું પેપરઃ યુવરાજસિંહ જાડેજા
વન રક્ષક પરીક્ષાનું પેપર ફૂટવા મામલે યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે, ફોરેસ્ટનું પેપર ફૂટવા અંગે વિદ્યાર્થીઓ પાસેથી જાણવા મળ્યું છે. ચાલુ પરીક્ષા દરમિયાન વિદ્યાલય દ્વારા સીધા જવાબો લખાવવામાં આવેલા. કહેવામાં આવતું હતું નવી એસઓપીથી પેપર લેવામાં આવશે, પરંતુ નવી એસઓપીથી લેવાયું નથી. આ પેપર ગૌણ સેવા દ્વારા લેવામાં આવવાનું હતું પણ અંત ઘડીએ ગુજ. યુનિ દ્વારા પેપર લેવાયું હતું. ગૌણ સેવાએ પણ હાથ ઉંચા કરી દીધા હતા. હું વિદ્યાર્થીઓની વેદના સમજુ છું, આ 2018ની પરીક્ષા હતી. વિદ્યાર્થી 4-5 વર્ષથી મહેતન કરતા હોય અને જાણવા મળે કે આ પરીક્ષાનું પેપર ફૂટી ગયું છે ત્યારે તેને આઘાત લાગતો હોય છે. ભ્રષ્ટાચાર, ગેરરીતિની ઘટના આવે ત્યારે સરકાર પોતાના અધિકારીઓને છાવરવાનો પ્રયાસ કરતી હોય છે.
મહત્વનું છે કે, આજે વન રક્ષક વર્ગ-3ની પરીક્ષા યોજાઈ હતી. જેમાં 334 જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન કરાયું હતું. અંદાજે 4.97 લાખ ઉમેદવારોએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા. આર્થિક અનામતના વિવાદને કારણે પરીક્ષા સ્થગિત રખાઈ હતી. કુલ 200 માર્કસના 100 MCQ પૂછાશે. અમદાવાદમાં અંદાજે 52 હજાર ઉમેદવાર પરીક્ષા આપશે. લેખિત કસોટી બાદ શારીરિક કસોટી લેવાશે.
ગુજરાતનો યુવા વર્ગ ખુબ જ નારાજ
ઉમેદવારોએ આ મામલે કહ્યું કે, વાંરવાર પેપર ફૂટે છે અને અમારી મહેનત પર અને ભાવિ પર અસર થઇ રહી છે. સરકાર પેપર ફૂટ્યાના મૂળ સુધી પહોંચે, માત્ર કેટલાક મળતિયાંને પકડે છે. ગુજરાતનો યુવાવર્ગ ખૂબ જ નારાજ થયો છે. વન રક્ષક પરીક્ષાનું પેપર ફૂટવા મામલે રાજકોટમાં NSUIએ ઇન્દિરા સર્કલ પાસે રોડ બ્લોક કરી વિરોધ નોંધાવ્યો છે. ભાજપ સામે સૂત્રોચાર કર્યા છે.
પેપર ફોડનારનો માસ્ટર કોણ ?
શ્રી નાગરિક મંડળ સેન્ટરમાં પેપર ફોડનાર કોણ છે ?
પરીક્ષાર્થીને શ્રી નાગરિક મંડળમાંથી પેપર કોણે આપ્યું ?
પેપર આપનાર પાસે જવાબ હતા તો તે જવાબ ક્યાંથી આવ્યા ?
પેપર પરિક્ષાર્થી સામે જ ખૂલે છે તો મંડળની ઓફિસમાં પેપર ક્યાંથી આવ્યું ?
20 મીનિટમાં તમામ જવાબો મળી ગયા તો મંડળમાં આટલું હોશિયાલ કોણ બેઠું હતું ?
પેપરના જવાબ બીજા પરિક્ષાર્થી પાસે નથી ગયા તેના ગેરંટી શું છે ?
જવાબ લખાવનારે બીજા પરિક્ષાર્થીને જવાબ નથી મોકલ્યા તેની ગેરંટી શું ?