રાજ્યની દરેક શાળામાં ફરજિયાત ગુજરાતી શિક્ષણ મુદ્દે શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, જે શાળામાં ગુજરાતી ભણાવવામાં આવતું નથી તેની સામે કાર્યવાહી થશે.
ગુજરાતી શિક્ષણ મુદ્દે શિક્ષણ મંત્રીનું નિવેદન
દરેક શાળામાં ગુજરાતી વિષય ફરજિયાત: કુબેર ડિંડોર
'ગુજરાતી વિષય ન ભણાવતી શાળા સામે થશે કાર્યવાહી'
દર વર્ષે 21મી ફ્રેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. ત્યારે આજે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે અમદાવાદના થલતેજ વિસ્તારની પ્રાથમિક શાળાએથી હાથીની અંબાડી ઉપર ગ્રંથ યાત્રા નીકળી હતી. થલતેજથી વાજતે ગાજતે બગી, શિક્ષકો અને વિદ્યાર્થીઓની સાથે નીકળેલી આ ગ્રંથ યાત્રા બોડકદેવ ખાતે આવેલા પંડિત દિનદયાળ ઓડિટોરિયમ ખાતે પૂર્ણ થઈ હતી. આ તકે રાજ્યના શિક્ષણ મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ગુજરાતી શિક્ષણ મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું હતું.
માતૃભાષાએ સંવેદનાની ભાષા છે: શિક્ષણમંત્રી
રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું કે, આપણી માતૃભાષા ગુજરાતી એ સંવેદનાની ભાષા છે અને સમન્વયની ભાષા છે. એટલે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એવું કવિઓ કહે છે. વિદ્યાર્થીઓનો ગુજરાતીનો પાયો મજબૂત બને એ માટેના પ્રયાસો શિક્ષણ વિભાગ કરી રહ્યું છે. જે કઈ ખામી છે તેનું આવનારા સમયમાં અમારા શિક્ષણવિદો, બૌધિકો ગુજરાતી ભાષાના તજજ્ઞોની સાથે મળીને સમાધાન કરશે.
આવી શાળાઓ સામે કાર્યવાહી થશેઃ શિક્ષણમંત્રી
રાજ્યની શાળાઓમાં ફરજિયાત ગુજરાતી શિક્ષણ મુદ્દે શિક્ષણમંત્રીએ જણાવ્યું કે,'રાજ્યના દરેક શાળામાં ગુજરાતી વિષય ફરજિયાત છે. જે શાળામાં ગુજરાતી વિષય ભણાવવામાં નઓથી આવતો તેની સામે કાર્યવાહી થશે'
'ગુજરાતી ન ભણાવતી શાળાઓ સામે કાર્યવાહી થશે'
તાજેતરમાં જ રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે ગુજરાતી ભાષાને લઈ જણાવ્યું હતું કે, શાળાઓમાં ગુજરાતી ભાષા ભણાવવા બાબતે સાહિત્યકારોની રજૂઆત મળી છે. જેથી ગુજરાતી ભાષા ભણાવાતી ન હોય તેવી શાળાઓ સામે પગલા લેવાશે. તમને જણાવી દઈએ કે, ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા આદેશ કરાયો હતો જે બાદ પણ કેટલીક વિદ્યાલયો ન ભણાવતી હોવાની ઘટનાઓ સામે આવી હતી. જો કે, ત્યારબાદ હવે કાર્યવાહી સુધીનો દોર ચલાવવાની સરકારે તૈયારી બતાવી છે.
ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા મામલે થઈ હતી અરજી
રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા મામલે જાહેર હિતની અરજી થવા પામી હતી. જે અરજીના આધારે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી. ત્યારે કેન્દ્રીય વિદ્યાલયોમાં ગુજરાતી ભાષા ન ભણાવતા હોવાની અરજદારની રજૂઆત હતી. ત્યારે આ મામલે હાઈકોર્ટ દ્વારા ગુજરાતી નહીં ભણાવતી શાળાઓ સામે શું પગલા લેવાશે તે મામલે સરકારી વકીલને પૂછતા સરકારી વકીલે હાઈકોર્ટને કહ્યું હતું કે 'ગુજરાતી ન ભણાવતી શાળાઓને નોટિસ ઈશ્યું કરીશું.'
સાહિત્યકારોએ શું રજૂઆત કરી હતી?
ગુજરાતી ભાષા માટે સાહિત્યકારોએ રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું કે, સરકારે જીઆર કર્યો છે પણ કાયદો થયો નથી. ગુજરાતી ભાષાનું શિક્ષણ અનિવાર્ય પણે થવુ જોઈએ. જોકે, જે સમગ્ર બાબતને લઈ સાહિત્યકારો મંત્રી ઋષિકેશ પટેલ અને વિનોદ રાવને મળ્યા હતા. તેમણે સ્પષ્ટ આક્ષેપો કર્યા હતા કે, ગુજરાતીને વિષય તરીકે જ ભણાવવામાં આવતો નથી.