ગાંધીનગર ખાતે રવિવારે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા અને શાળામાં ડિજિટલ એટેન્ડન્સ સહિતના વિવિધ પ્રોજેક્ટના પ્રારંભ કરાયા હતા. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું હતું કે, સરકાર શિક્ષકોને પગાર આપે છે, કામ તો કરવું જ પડશે. ગુજરાતમાં શિક્ષણનું નબળું સ્તર અને નબળા પરિણામને લઈને શિક્ષણમંત્રીએ આ વાત કરી હતી.
બીજી તરફ દોષનો ટોપલો શિક્ષકો માથે ઢોળાતાં શિક્ષકોમાં એવો ગણગણાટ વહેતો થયો હતો. એક તરફ સરકાર ચૂંટણી-મતદાન માટેની કામગીરી હોય, સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ હોય કે પછી જાહેર કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા માટે શિક્ષકોને ફરજિયાત હાજર રહેવાની ફરજ પાડે છે તે બંધ કરવું જોઈએ.
શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવે કે અન્ય કામગીરી કરે તે મોટો સવાલ છે. શિક્ષકો માત્ર બાળકોને ભણાવે અને તે સિવાય સરકાર અન્ય કોઈ કામગીરી ના સોંપે તેવું આયોજન કરવું જોઈએ.
આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીએ એવું પણ કહ્યું કે, શાળાઓમાં ૧૦૦ ટકા નામાંકન અને ૦ ટકા ડ્રોપ આઉટ રેશિયો સાથે ગુણવત્તાલક્ષી શિક્ષણએ રાજ્ય સરકારના સંકલ્પ સાથેનો ધ્યેય છે. આ સંકલ્પ હાંસલ કરવા પૂરતા પ્રયાસો કરી રહ્યા છે.
વિભાવરી દવેએ ભાંગરો વાટ્યો: એ ગ્રેડની ૩૨,૦૦૭ સ્કૂલો
રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી વિભાવરી દવેએ ગાંધીનગરના કાર્યક્રમમાં ભાંગરો વાટ્યો હતો. ગુણોત્સવની સિધ્ધીઓ અંગે તેમણે કહ્યું કે, એ વખતે(ગુણોત્સવ-૧) એ ગ્રેડવાળી માત્ર ૫ સ્કૂલો હતી જે અત્યાર વધીને ૩૨,૦૦૭ થઈ છે. જ્યારે હકિકત એ છે કે, આ પાંચ સ્કૂલો જે કેટગરીમાં હતી તે એ-પ્લસ ગ્રેડમાં અત્યારે માત્ર ૩,૨૦૭ સ્કૂલો જ છે.