કોરોના સંકટના કારણે શાળાઓ હજુ સુધી ખોલવામાં આવી નથી. પણ હવે સ્કૂલો દ્વારા મનમાની શરૂ કરી દેવામાં આવી છે. તેવામાં સ્કૂલ સંચાલકોની મનમાની વચ્ચે વાલીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાલીઓના હિતમાં VTVની ચર્ચામાં શિક્ષણમંત્રીએ ખાતરી આપી છે. ત્યારે સ્કૂલોની મનમાની મામલે શિક્ષણ સચિવ વિનોદ રાવે પણ અગાઉ કહ્યું હતું કે જો કોઈ સ્કૂલો ફી ઉઘરાવશે તો પગલા લેવામાં આવશે.
કોઇ સંચાલક વાલીઓને દબાણ નહીં કરી શકેઃ ભૂપેન્દ્રસિંહ
VTVની ચર્ચા દરમિયાન રાજુ ધૃવે ટેલિફોનિક પર વાત કરી
ફી બાબતે ભાજપ નેતા રાજુ ધૃવે ભૂપેન્દ્રસિંહ ચડાસમા સાથે કરી વાત
રાજ્ય અને સમગ્ર દેશ કોરોના સામે લડી રહ્યો છે, જેને લઇને લૉકડાઉનની સ્થિતિમાં લોકોને આર્થિક ફટકો પણ પડ્યો છે. આ કપરા સમયમાં પણ સ્કૂલો કમાણી કરવા માગે છે. જોકે સરકાર દ્વારા રાશન, લાઇટ બિલ સહિત અનેક બોજને હળવા કરવા મદદ કરવામાં આવી છે. પરંતુ છેલ્લા થોડા દિવસોથી ગાંધીનગરની DPS સ્કૂલ, અમદાવાદની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ, સુરતમાં યુરો સ્કૂલ અને રાજ્યની અનેક ખાનગી શાળાઓમાં ફીની ઉઘરાણી કરવામાં આવી રહી છે. તેવામાં VTVની ચર્ચા દરમિયાન ભાજપના નેતા રાજુ ધૃવે ફી બાબતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ટેલિફોન પર વાત કરી હતી. જેમાં વાલીઓ માટે રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે.
કોઇ સંચાલક વાલીઓને દબાણ નહીં કરી શકેઃ ભૂપેન્દ્રસિંહ
જેમાં ભૂપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, કોઇ સ્કૂલ સંચાલક ફી માટે વાલીઓને દબાણ નહીં કરી શકે. સાથે માર્કશીટ કે લિવિંગ સર્ટી પણ નહીં અટકાવી શકે. સ્કૂલોએ સરકારે આપેલા આદેશોનું પાલન કરવું પડશે. મહત્વનું છે કે, આ અગાઉ શિક્ષણમંત્રીએ સપ્ટેમ્બર સુધી ફી ન ઉઘરાવવા માટે કહ્યું હતું. છતાં શાળાના સંચાલકો છે કે સરકારના નિયમોને પણ માનવા તૈયાર નથી. બસ તેમને પોતાના ખિસ્સા જ ભરવા છે.
જો કોઈ સ્કૂલો ફી ઉઘરાવશે તો પગલા લેવાશેઃ શિક્ષણ સચિવ વિનોદ રાવ
સ્કૂલોની મનમાની મામલે શિક્ષણ સચિવ વિનોદ રાવે જવાબ આપતા કહ્યું કે જો કોઈ સ્કૂલો ફી ઉઘરાવશે તો પગલા લેવામાં આવશે.. કોઈપણ શાળા આ પ્રકારની ઉઘરાણી નહીં કરી શકે.. અને જો કોઈ શાળા ઉઘરાણી કરતી હશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.. અને જે લોકો ફી આપી શકે તેવા હોય તો એ લોકો ફી ભરી શકે છે. પણ ન ભરી શકે તેવા વાલીઓ પર દબાણ ન કરવું જોઈએ.
ગાંધીનગરની DPSએ ફી ઉઘરાવવાનું શરૂ કર્યું
ગાંધીનગરની DPSએ ફી ઉઘરાવવાનું શરૂ કરી દીધું છે. DPS વાલીઓને પુસ્તક લેવા માટે સ્કૂલમાં બોલાવે છે. બાદમાં ફી ભરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. DPSએ વાલીઓને કહ્યું કે જો ફી ભરશો તો જ પુસ્તક આપવામાં આવશે. વાલીઓ પાસેથી પ્રથમ ક્વાર્ટરની તેમજ ટ્રાન્સપોર્ટેશન અને એન્યુઅલ ફી માગવામાં આવી રહી છે. પ્રથમ ક્વાર્ટરની 39 હજાર ફી માગવામાં આવી રહી છે. જ્યારે 12 હજાર એન્યુઅલ ચાર્જ, 14 હજાર ટ્યૂશન ફી અને 6 હજાર 800 ટ્રાન્સપોર્ટેશન ફી માગવામાં આવી રહી છે. આ ઉપરાંત જે તે ધોરણની બુક પણ અલગથી ખરીદવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જોકે અહીં સવાલ એ છે કે આખરે ક્યાં સુધી સ્કૂલ સંચાલકો પોતાની મનમાની ચલાવીને વાલીની મજબૂરીનો લાભ ઉઠાવતા રહેશે?
અમદાવાદની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વધુ ફી વસૂલવાનો મામલો
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા પોતાની મનમાની ચલાવી વાલીઓ પાસે મસમોટી ફી વસૂલવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. જ્યારે સ્કુલ પોતે ફી ન લેતી હોવાનો લૂલો બચાવ કરવામાં આવ્યો છે. અને ગોળ ગોળ જવાબ આપતા સ્કુલ સંચાલકો જોવા મળ્યા હતાં. સ્કુલ દ્વારા વાલીઓને ફી માટે મેસેજ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ વાલીઓ દ્વારા DEO કચેરી ખાતે લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. આ સાથે જ વાલીઓ દ્વારા સ્કુલમાં પ્રિન્સિપાલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે પ્રિન્સિપાલ પહેલા તો જવાબ આપવાના બદલે ભૂગર્ભમાં ઉતરી ગયા અને પછી જ્યારે વાલીઓ દ્વારા સ્કુલમાં હાજર સ્ટાફ ઉપર પ્રેશર કરવામાં આવ્યું છે. ત્યારે પ્રિન્સિપાલ વાલીઓને મળવા માટે તૈયાર થયા હતાં. જેમાં પ્રિન્સિપાલ અને સ્કુલના એડમીન વિભાગ દ્વારા વાલીઓને ગોળ ગોળ જવાબ આપી સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને સ્કુલ દ્વારા પોતે ફી માટે કોઈ મેસેજ કરવામાં ન આવ્યા હોવાની વાત કરી છે.
સુરતમાં યુરો સ્કૂલની દાદાગીરી
સુરતમાં યુરો સ્કૂલની દાદાગીરી સામે આવી છે. યુરો સ્કૂલે ઓનલાઇન એજ્યુકેશનના નામે ફીની ઉઘરાણી કરી છે. જેને લઇ યૂરો સ્કૂલ ખાતે વાલીઓ એકઠા થયા હતા. યુરો સ્કૂલે ત્રિમાસીક ફીના નામે ફીની ઉઘરાણી કરી છે. સ્કૂલનું કહેવું છે કે અમે વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવ્યા છે. વાલીએ શાળા સંચાલકો પાસે લિવિંગ સર્ટિફિકેટની માગ કરી છે. પરંતુ શાળા સંચાલકો લિવિંગ સર્ટિફિકેટ પણ નથી આપી રહ્યાં. અને શાળા સંચાલકોએ મીડિયા સાથે પણ દાદાગીરી કરી છે. ત્યારે સવાલો ઉઠી રહ્યાં છે કે કોરોનાના સંકટ સમયે પણ યુરો સ્કૂલે કેમ દાદાગીરી કરે છે? ઓનલાઇન એજ્યુકેશન નામે કેમ ફીની ઉઘરાણી કરાય છે? વાલીઓને સંચાલકો કેમ વિદ્યાર્થીના લિવિંગ સર્ટિફિકેટ નથી આપી રહ્યાં? શાળા સંચાલકોએ મીડિયા સાથે પણ કેમ દાદાગીરી કરે છે?
ખેડામાં કોરોનાના કહેર વચ્ચે શાળા સંચાલકોની દાદાગીરી
ખેડામાં કોરોનાના કહેર વચ્ચે શાળા સંચાલકોની દાદાગીરી સામે આવી છે. ખેડા જિલ્લામાં ખાનગી શાળાઓ દ્વારા ફીની ઉઘરાણી કરવામાં આવી છે. શાળાઓ દ્વારા ફીને લઇ વાલીઓ પર દબાણ કરવામાં આવે છે. ABVP દ્વારા આ મામલે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. ફી મામલે ન્યાય મળે તેવી વાલીઓએ માંગ કરી છે.
શાળાઓ ફી ઉઘરાવશે તો નોંધણી રદ કરવા સુધીની શિક્ષણ વિભાગે ચિમકી આપી
જોકે અમરેલી જિલ્લામાં ખાનગી શાળાઓ ફી ઉઘરાવશે તો નોંધણી રદ કરવા સુધીની શિક્ષણ વિભાગે ચિમકી આપી છે. અહીં શાળા સંચાલકો વાલીઓ પાસે ફી મુદ્દે દબાણ કરે તો જિલ્લા શિક્ષણ અધિકારીને લેખીત રજુઆત કરી શકે છે. અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી એમ.જે.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, દેશમાં કોરોના વાયરસની મહામારીને ધ્યાને રાખીને શિક્ષણ કાર્ય બંધ છે. ત્યારે નવા વર્ષનું સત્ર શરૂ થઈ ગયું છે. પરંતુ બાળકોને સ્કૂલે આવવાનું નથી. અહીં ઓનલાઈન શિક્ષણ આપતી ખાનગી શાળા વાલીઓ પાસે ઉઘરાણું કરી શકશે નહી. જો વાલીઓની પાસે શાળા સંચાલકો નવા છત્રની ફી માટે દબાણ કરે તો જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક કરી શકે છે. વધુમાં જણાવ્યું હતું કે, હાલ સુધી જિલ્લામાં ફી વસુલવાની ફરિયાદ આવી નથી. પણ વાલીઓ લેખીત રજુઆત કરશે તો ખાનગી શાળાઓ પર તપાસ કરી તેમની નોંધણી રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું.