હાલ ગુજરાત વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. જેમાં જેમાં વિવિધ વિભાગોના પ્રશ્નો પર ચર્ચા થઇ રહી છે. ત્યારે રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધર્યું હોવાના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે.
શિક્ષણનું સ્તર સુધર્યું હોવાના દાવા પોકળ
રાજ્યના 17 જિલ્લાઓમાં એક પણ કેળવણી નિરીક્ષક નથી
રાજ્યમાં 700 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
ગુજરાત રાજ્યમાં આજના વિધાનસભા સત્રમાં શિક્ષણ વિભાગ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, વન, પર્યાવરણ અને ક્લાયમેટ ચેન્જ વિભાગના પ્રશ્નો પર ચર્ચા કરાઇ રહી છે. વિધાનસભામાં વિપક્ષે કેળવણી નિરીક્ષક અને શિક્ષણાધિકારીની ખાલી જગ્યાઓ અંગે સવાલનો પૂછ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા જેનો જવાબ આપવામાં આવ્યો છે. એક પ્રકારે રાજ્ય સરકારે ભરતી ન થઇ હોવાનું સ્વીકાર્યું છે.
રાજ્યના 17 જિલ્લાઓમાં એક પણ કેળવણી નિરીક્ષક નથી
રાજ્ય સરકારે વિધાનસભામાં જણાવ્યું કે, રાજ્યના 17 જિલ્લાઓમાં એક પણ કેળવણી નિરીક્ષક નથી. રાજ્યમાં કેળવણી નિરીક્ષકની 95 ટકા જગ્યાઓ ખાલી છે. રાજ્યમાં કેળવણી નિરીક્ષકની 563 જગ્યાઓ ખાલી છે. તો રાજ્યમાં તાલુકા શિક્ષણાધિકારીની 93 જગ્યાઓ ખાલી છે. ભાવનગર જિલ્લામાં 42 કેળવણી નિરીક્ષકોમાંથી માત્ર 1 જગ્યા ભરાયેલ છે. પંચમહાલ, અમરેલી, રાજકોટ, અરવલ્લી અને સાબરકાંઠામાં એકપણ કેળવણી નિરીક્ષક નથી. તો દાહોદ, પોરબંદર, નર્મદા, છોટાઉદેપુર અને વડોદરામાં પણ એકપણ કેળવણી નિરીક્ષક નથી. બોટાદ, વલસાડ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ કેળવણી નિરીક્ષક નથી. ડાંગ, સુરત અને નવસારીમાં કેળવણી નિરીક્ષકની જગ્યા ખાલી છે.
રાજ્યમાં 700 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
ગુજરાતમાં સરકારી શાળાનું શિક્ષણ સ્તર કથળ્યું છે. સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધર્યું હોવાના દાવા પોકળ સાબિત થયા છે. રાજ્યમાં 700 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે. ગાંધીનગરની 9 શાળાઓમાં એક જ શિક્ષક છે. વડોદરામાં 38 શાળાઓ એવી છે જેમાં એક જ શિક્ષક છે. તો કચ્છ જિલ્લામાં 100 શાળાઓ પણ એક જ શિક્ષકથી ચાલે છે. કોંગ્રેસના ધારાસભ્ય ડૉ.સી.જે. ચાવડાના પ્રશ્ન પર સરકારે જવાબ આપ્યો છે.