આ વર્ષે ગુજરાતમાં દિવાળીના તહેવારોમાં જ મોંઘવારી જનતાની કમર તોડી નાખશે. કારણ કે રાજ્યમાં વધુ એક વખત ખાદ્યતેલના ભાવમાં ભડકો થાય તેવી શક્યતા રહેલી છે.
ખાદ્યતેલનાં ભાવમાં હજુ પણ ભડકો થવાની શક્યતા
જૂની મગફળીનો ભાવ ઊંચો રહેતા તેલનાં ભાવમાં વધારો
સિંગતેલનાં ડબ્બાનો ભાવ રૂ. 2 હજાર 945 પર પહોંચ્યો
નવી મગફળીમાં ભેજ હોવાથી પીલાણ માટે જૂની મગફળીની ડિમાન્ડ વધી છે. આથી જૂની મગફળીનો ભાવ ઊંચો રહેતા તેલનાં ભાવમાં સતત વધારો થઇ શકે છે. તમને જણાવી દઇએ કે, હાલ સિંગતેલનાં ડબ્બાનો ભાવ રૂપિયા 2 હજાર 945એ પહોંચ્યો છે. જ્યારે કપાસિયા તેલનાં ડબ્બાનો ભાવ રૂપિયા 2 હજાર 365એ પહોંચ્યો છે. તો પામોલીન તેલનો ભાવ રૂપિયા 1 હજાર 625એ પહોંચ્યો છે. યાર્ડમાં હાલ મગફળીનો ભાવ રૂપિયા 1 હજાર 150થી 1 હજાર 300 પ્રતિમણ છે.
રાજકોટ: દિવાળી પર ખાદ્યતેલના ભાવમાં હજુ પણ વધારો થવાની શક્યતા, જૂની મગફળીનો ભાવ ઊંચો રહેતા તેલના ભાવમાં સતત વધારો#Gujarat#rajkot#edibleoil
આ ભાવ વધારા પર ગુજરાત ખાદ્ય તેલ વેપારી મહામંડળના પ્રમુખ બિપીન મોહનનું કહેવું છે કે, આ વખતે હવામાનના કારણે ઉત્પાદન ઓછું થયું છે. તો તહેવારો આવતા બજારમાં ખાદ્ય તેલની માંગ ઘણી વધી છે. થોડા સમય પહેલા પણ સિંગતેલના ડબ્બાનો ભાવ 3 હજારે પહોંચી ગયો હતો. પરંતુ તેમાં ઘટાડો થયો હતો. હાલ સિંગતેલના ભાવમાં રૂપિયા 50નો વધારો કરવામાં આવતા ભાવ 3050એ પહોંચ્યા છે.
ખાદ્યતેલમાં ભાવવધારાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાયા
વેપારીઓના જણાવ્યા મુજબ, સીંગતેલમાં હજુ ભાવ વધવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઇ રહી છે. આથી જો સીંગતેલના ભાવમાં વધારો ઝીંકવામાં આવશે તો એની અસર કપાસિયા અને પામોલીન તેલ પર પણ જોવા મળશે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાના લીધે હાલ લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ખાદ્યતેલ મોંઘા થવા સાથે બજારૂ ફરસાણ અને ખાદ્યચીજોમાં ભેળસેળ કે વાસી દાઝ્યું તેલ વાપરવાનું જોખમ પણ વધવા લાગ્યું છે. ખાદ્યતેલોમાં થઇ રહેલા આસમાની ભાવવધારાના કારણે ગૃહિણીઓના બજેટ પણ ખોરવાઈ ગયા છે. જોકે આ જ રીતે જો તહેવારોની સીઝનમાં સીંગતેલના ભાવ વધતાં રહેશે તો સામાન્ય લોકોને તહેવારો ઉજવવા પણ મુશ્કેલ બની જશે.