નીરવ મોદી પર પીએનબીના લગભગ 14 હજાર કરોડ રૂપિયાના લોન કોભાંડનો આરોપ છે. હાલ નીરવ બ્રિટનની જેલમાં બંધ છે. ત્યારે ED એ તેની 250 કરોડની સંપતિ જપ્ત કરી છે.
ED એ નીરવ મોદીની હોંગકોંગની સંપતિ લીધી ટાંચમાં
250 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી
કંપનીના બેંક ખાતાઓ, હીરા અને ઝવેરાતનો સમાવેશ
પંજાબ નેશનલ બેંક (PNB)ના લોન કૌભાંડમાં ફરાર હીરા વેપારી નીરવ મોદીની 250 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે. આ કાર્યવાહીની માહિતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે શુક્રવારે મીડિયાને આપી હતી. 50 વર્ષીય નીરવ મોદી પર લગભગ 14 હજાર કરોડ રૂપિયાની લોન લેવાનો આરોપ છે. ઇડી આ કેસમાં પીએમએલએ હેઠળ મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે. ફરાર જાહેર થયેલો નીરવ હાલ બ્રિટનની જેલમાં બંધ છે જ્યાં તેના પર ભારત પ્રત્યાર્પણનો કેસ ચાલી રહ્યો છે. અને તેમાં નીરવ કેસ હારી ગયો છે.
હીરા અને બેંક ખાતાઓ કર્યા જપ્ત
ઇડીના અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે જપ્ત કરવામાં આવેલી સંપત્તિની કિંમત આશરે 253.62 કરોડ રૂપિયા છે, જેમાં તેમની કંપનીના બેંક ખાતાઓ, હીરા અને ઝવેરાતનો સમાવેશ થાય છે. આ તમામ પ્રોપર્ટી હોંગકોંગમાં હતી, જ્યાં સ્થાનિક પ્રશાસનની મદદથી તેને ટાંચમાં લેવામાં આવી છે.
પહેલા પણ સંપતિ ટાંચમાં લીધી હતી
અધિકારીઓના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન નીરવ મોદી ગ્રુપની કંપનીઓની કેટલીક સંપત્તિ હોંગકોંગમાં હોવાનું જાણવા મળ્યું છે. આ મિલકતની ઓળખ કેટલાક બેંક ખાતાઓમાં ખાનગી તિજોરીમાં રાખવામાં આવેલા હીરા અને ઝવેરાત ઉપરાંતની રકમ તરીકે કરવામાં આવી હતી. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ આ સંપત્તિને તાત્કાલિક ધોરણે ટાંચમાં લેવામાં આવી હતી. હવે આ સંપત્તિ સંપૂર્ણપણે જપ્ત કરી લેવામાં આવી છે.
લેટર ઓફ ક્રેડિટ દ્વારા ચૂનો લગાવવામાં આવ્યો હતો
હીરાના મોટા બિઝનેસના માલિક નીરવ મોદીએ ઘણા વર્ષોથી નકલી લેટર ઓફ ક્રેડિટ દ્વારા પીએનબીને છેતરી હતી. આ એલઓસી તેમને બેંક અધિકારીઓની મિલીભગતથી આપવામાં આવી રહી હતી. આ મામલો તપાસમાં સામે આવ્યો ત્યારે નીરવ મોદી અને તેના મામા મેહુલ ચૌકસી વિદેશ ભાગી ગયા હતા. ચોક્સીને પણ આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યો છે. તપાસ દરમિયાન આ સમગ્ર કૌભાંડ આશરે 14 હજાર કરોડ રૂપિયાનું હોવાનું જાણવા મળ્યું હતું. ઈડી ઉપરાંત આ કેસની તપાસ સીબીઆઈ પણ કરી રહી છે.