ભારતમાં મંદીની અસર વિકરાળ બનતી જઇ રહી છે અને દેશમાં બેરોજગારી વધતી જઇ રહી છે. બેરોજગારી દરના તાજા આંકડાઓમાં ખુલાસો થયો છે કે, છેલ્લા ત્રણ વર્ષોમાં બેરોજગારી દર પોતાના ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી ગયો છે. આ વર્ષે ઓક્ટોબરમાં બેરોજગારી દર 8.48 ટકા રહ્યો, જ્યારે સપ્ટેમ્બરમાં આ આંકડો 7.2 ટકા હતો.
ભારતમાં મંદીની અસર વિકરાળ બની, દેશમાં બેરોજગારીમાં વધારો
છેલ્લા ત્રણ વર્ષોમાં બેરોજગારી દર પોતાના ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી ગયો
ઓક્ટોબર 2019માં બેરોજગારી દર 8.48 ટકા રહ્યો
સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE) ની રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. ઓગસ્ટ 2016 બાદથી બેરોજગારી દરનો આ સર્વોચ્ચ આંકડો છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2016માં દેશમાં બેરોજગારી દર વધીને 9.59 ટકા થઇ ગયો હતો.
જોકે, CMIEના ડેટા અનુસાર, મે અને સપ્ટેમ્બર 2019માં 25 લાખ નોકરીઓ વધી છે અને દેશમાં મે- ઓગસ્ટ 2019 દરમિયાન 40.49 કરોડ લોકો પાસે રોજગાર છે. ઉપરાંત ગત વર્ષે 40.24 કરોડ લોકો પાસે રોજગાર હતો. રિપોર્ટ અનુસાર, જો મજુર વર્ગ બેરોજગારીનો સામનો કરશે અને રોજગારની તક ઓછી હશે તો તેની અસર શ્રમ બજાર પર પડશે.
CMIE રિપોર્ટમાં બતાવાયું છે કે મે-ઓગસ્ટ 2018માં રોજગારી મે- ઓગસ્ટ 2017ની તુલનામાં 55 લાખ ઓછી છે. આ પ્રકારે વર્ષ 2017માં વર્ષ 2016ની તુલનામાં 6 લાખ નોકરીઓ ઓછી થઇ હતી.
નોંધનીય છે કે, ગત વર્ષથી ભારતીય અર્થવ્યવસ્થામાં ઘટાડોનું વલણ શરૂ થયું હતું. જે હેઠળ ઉપભોગમાં ઘટાડો આવ્યો છે, ખાનગી કેપિટલ એક્સપેન્ડિચર ઘટ્યું છે અને દેશની બેન્કિંગ સેક્ટરમાં સમસ્યાઓ સર્જાઇ છે. શુક્રવારે IHS Markit દ્વારા કરવામાં આવેલા સર્વે Nikkei Manufacturing Purchasing Managers Indexના અનુસાર, દેશમાં ઔદ્યોગિક ગતિવિધિઓમાં પણ ગત બે વર્ષો દરમિયાન ઘટાડો નોંધાયો છે.
દેશની 8 મહત્વપૂર્ણ કોર ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ સપ્ટેમ્બરમાં 5.2 ટકા રહ્યો, જે ગત એક દાયકા દરમિયાન સૌથી નીચો છે. આ 8 કોર ઇન્ડસ્ટ્રીમાંથી 7ના ગ્રોથમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.