પહેલેથી જ સંકટનો સામનો કરી રહેલ ભારતના અર્થતંત્ર હજુ વધુ ખરાબ દિવસો આવશે. સરકાર દ્વારા અર્થતંત્રને વેગ આપવા અનેક ઉપાયો અને પગલાં લેવા છતાં દેશના જીડીપીને એક પછી એક ઝાટકાનો સામનો કરવો પડી રહ્યો છે.
જીડીપી ગ્રોથ ૪.ર ટકા સુધી ગગડી શકે છે
SBI બાદ ક્રિસિલે પણ ગ્રોથ રેટ ઘટવાનું અનુમાન કર્યું
દેશની બે દિગ્ગજ કંપનીઓએ સપ્ટેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદન અપેક્ષા કરતાં વધુ ઘટવા અને સાર્થક સુધારાની શકયતા ઓછી હોવાને લઇને વર્તમાન નાણાકીય વર્ષમાં જીડીપી (GDP) ગ્રોથ ઘટાડીને પાંચ ટકા સુુધીનું અનુમાન કર્યા બાદ હવે એક આર્થિક અખબારના અંદાજ અનુસાર સપ્ટેમ્બર કવાર્ટરમાં જીડીપી ગ્રોથ પાંચ ટકાથી પણ ઘટીને ૪.ર ટકા સુધી ગગડી શરે છે.
SBI બાદ ક્રિસિલે પણ ગ્રોથ રેટ ઘટવાનું અનુમાન કર્યું છે. ક્રિસિલના મુખ્ય અર્થશાસ્ત્રી બી.કે.દોશીના જણાવ્યા અનુસાર રિયલ અને ફાઇનાન્શિયલ સેકટરમાં પ્રવર્તતી સુસ્તી એકબીજા પર દબાણ લાવી રહી છે. તેમણે પણ સપ્ટેમ્બર કવાર્ટરમાં જીડીપી ગ્રોથ પાંચ ટકાથી ઓછો રહેવાનુ્ અનુમાન કર્યું છે. તેમનું કહેવું છે કે રિકવરી ધીમે ધીમે થશે. કારણ કે આર્થિક સુસ્તી અને ફાઇનાન્શિયલ સેકટરમાં સુધારાનો દર સાથે સાથે ચાલી રહ્યો છે.
SBIના આર્થિક રિસર્ચ વિભાગના મંથલી રિપોર્ટ ઇકોરેપ અનુસાર બીજા કવાર્ટરમાં ઓટોમોબાઇલના સેલ્સમાં ઘટાડો, એર ટ્રાફિક મૂવમેન્ટમાં સુસ્તી, કોર સેકટરના ફલેટ ગ્રોથ સાથે કન્સ્ટ્રકશન અને ઇન્ફ્રાસ્ટ્રકચરમાં ઘટતા જતા મૂડીરોકાણને લઇને જીડીપી ગ્રોથ ૪.ર ટકા સુધી ગગડી શકે છે.
કોટક મહિન્દ્રા બેન્કે પણ બીજા કવાર્ટરમાં જીડીપી (GDP) ગ્રોથ ૪.૭ ટકા રહેવાનું અનુમાન વ્યકત કર્યું છે. જ્યારે નાણાકીય વર્ષ માટે તેનું અનુમાન પાંચ ટકાનું છે. આમ ચોમેરથી અર્થતંત્ર ભીંસમાં આવી રહ્યું છે અને તમામ બેન્કો અને ક્રેડિટ રેટિંગ સંસ્થાઓ ભારતના જીડીપીને ડાઉન ગ્રેડ કરી રહી છે.