ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ગુરુવારે કહ્યું હતું કે કોરોના વાયરસ મહામારીને કારણે ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતનો આર્થિક વૃદ્ધિદર ઘટીને શૂન્યથી 6થી 9 ટકા નીચે આવી શકે છે. જો કે તેઓએ કહ્યું કે જો યોગ્ય નીતિઓ પર અમલ કરવામાં આવશે તો આ આર્થિક વૃદ્ધિદર આવનારા નાણાંકીય વર્ષમાં ફરીથી ઉપર આવી શકે છે.
ભારતનો આર્થિક વૃદ્ધિદર ઘટીને શૂન્યથી 6થી 9 ટકા નીચે આવી શકેઃ સુબ્રમણ્યમ સ્વામી
છેલ્લા 4-5 વર્ષમાં અર્થવ્યવસ્થા પડી ભાંગી
અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના તેલંગાણા અને આંધ્રપ્રદેશની શાખા દ્વારા આયોજિત એક આભાસી બેઠકને સંબોધન કરતાં સ્વામીએ કહ્યું કે છેલ્લા 4-5 વર્ષમાં અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. કોરોનાના કારણે તેનો ઘટાડાનો દર વધ્યો છે. ચાલુ નાણાંકીય વર્ષના અંત સુધી વૃદ્ધિદર ઘટીને શૂન્યથી 6થી 9 ટકા સુધી નીચો જશે.
નીતિઓમાં બદલાવ જરૂરી
સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે આ બદલાવ કેવી રીતે આવશે..ઉત્પાદન માટે ક્ષમતા છે. પ્રશ્ન એ છે કે તમારે ઉત્પાદનને લાભદાયી બનાવવા સક્ષમ થવું જોઈએ અને સાથે નક્કી કરવું કે શ્રમિકોની કારખાનામાં, ખેતરોમાં જરૂર છે. તેઓ પોતાના કામ પર પાછા આવવા સક્ષમ છે. જો એક વાર યોગ્ય રીતે નીતિ નિયમનું પાલન કરાશે તો 2021-22માં એટલે કે આવનારા નાણાંકીય વર્ષમાં 7 ટકાનો વધારો મેળવી શકાશે. પણ નીતિઓ છેલ્લા 5 વર્ષ જેવી ન હોય તો જ આ શક્ય છે.
પહેલાં પણ PMને લખી ચૂક્યા છે પત્ર
સ્વામીએ કહ્યું કે તેઓએ પહેલાં પણ અનેક વાર પીએમ મોદીને પત્ર લખીને આર્થિક મંદી તરફ ઈશારો કર્યો છે. તેઓએ 4 વર્ષ પહેલાં પીએમને પત્ર લખ્યો હતો. અને તેમાં કહ્યું હતું કે આ વર્ષના અંત સુધી સ્થિતિ શું રહેશે. મે 2015માં પત્રમાં કહ્યું હતું કે આર્થિક વૃદ્ધિદરમાં ઘટાડો શરૂ થશે અને તેમાં ઉત્તરોત્તર ઘટાડો થતો જ રહેશે. બીજેપી નેતાએ કહ્યું કે અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા 20 લાખ કરોડ રૂપિયાનું પ્રોત્સાહન પેકેજ સીધી રીતે માંગનું વહન કરતું નથી.