ગણેશ ચતુર્થીનો ઉત્સવ દેશભરમાં મનાવવામાં આવી રહ્યો છે. હાલમાં તે પૂર્ણ થવાના આરે પણ છે. આ સમયે વિધ્નહર્તાની પૂજા અર્ચનામાં લોકો જરાય કચાશ રાખતા નથી. કેટલાક લોકો જાતે જ ગણેશજી બનાવે છે. આવો જ એક દાખલો છે અમદાવાદના બોપલમાં રહેતા રીનલબેન પ્રજાપતિનો. તેઓ છેલ્લા 4 વર્ષથી જાતે જ ગણેશજી બનાવે છે અને તેમની 10 દિવસ સુધી પૂજા કરે છે.
લાલ -ચીકણી માટી તથા કુલ્ફીની સ્ટીકમાંથી બનાવ્યા ગણેશ
પરિવારની મદદથી માટીમાંથી ગણેશજી બનાવે છે. ગણેશજી બનાવવા માટે તેઓ લાલ અને ચીકણી માટીનો ઉપયોગ કરે છે. 4 વર્ષથી ગણેશજી બનાવવાની સાથે તેઓ તેમના થીમ પણ અલગ અલગ રીતે રાખતા હોય છે. આ વર્ષે તેઓએ કાઠિયાવાડી થીમ પર ગણેશજીનું આખું મંદિર સજાવ્યું છે. આ પહેલાં જ્યારે તેઓએ ગણેશજીની સ્થાપના કરી હતી ત્યારે વાંસમાંથી, ન્યૂઝપેપરમાંથી પણ ડેકોરેશન કર્યું હતું.
આ રીતે કરાયું ડેકોરેશન
આ વર્ષે તેઓએ કાઠિયાવાડી થીમના જે ગણેશજીનું મંદિર બનાવ્યું છે તેમાં ગાર્ડન, સોફા, હિંચકો, ઝૂલો, ઝૂંપડી, વાડ પણ બનાવ્યા છે. આ ચીજો બનાવવા માટે તેઓએ કુલ્ફીની સ્ટીકનો ઉપયોગ કર્યો હતો. આ સાથે જ ગાર્ડનને વધારે સુંદર બનાવવા માટે તેઓએ ઓરિજિનલ ઝવેરા વાવ્યા હતા. ગણેશજીને સાથ આપવા માટે ઝૂંપડીમાં આર્ટિફિશયલ એનિમલ્સ પણ રાખવામાં આવ્યા છે. મૂર્તિ બનાવવા માટે તેઓએ લગભગ 3 કલાકનો સમય ફાળવ્યો હતો. ત્યારબાદ લગભગ 5 દિવસમાં તેઓએ ગણેશજીનું ડેકોરેશન કર્યું, સાથે જ ઝૂંપડીને પણ સારી રીતે સજાવી અને તેને પેઈન્ટ કરી હતી. કેટલીક જગ્યાએ લાલ તો ક્યાંક સફેદ કલરનો ઉપયોગ કર્યો હતો. જેથી તે વધુ સુંદર દેખાય. ગણેશજીની તમામ સામગ્રી અને ડેકોરેશન માટે તેઓએ અંદાજે 1500 રુપિયા ખર્ચ કર્યા છે.
પરિવાર રોજ આવો ધરે છે ભોગ, ગુરુવારે કરશે વિસર્જન
10 દિવસના આ ગણેશોત્સવ દરમિયાન તેઓ રોજ સવારે અને સાંજે પૂજા અર્ચના કરે છે અને મોદક, પેંડા તથા લાડુનો ભોગ પણ ધરાવે છે. આ સિવાય તેઓ રોજ સવારે ગણેશજીને દાળ -ભાત, શાક, રોટલીનો ભોગ પણ ધરાવે છે. આ ભોગ જ તેઓ પ્રસાદ રૂપે જમે છે. ગણેશજીના વિસર્જન માટે તેઓએ 10 દિવસ બાદ ઘૂમા કેનાલ જશે અને અહીં જ તેઓ માટીના ગણેશજીનું વિસર્જન પણ કરશે.