મહારાષ્ટ્રમાં છેલ્લા 2 દિવસથી શોકમગ્ન વાતાવરણ જોવા મળી રહ્યું હતું. પહેલા બોલીવૂડના અભિનેતા ઇરફાન ખાન અને ત્યારબાદ ઋષિ કપૂરના નિધનના કારણે રાજ્યમાં બે દિવસ સદ્દમા પસાર થયા છે. જો કે બીજી તરફ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ખુરશી પર સંકટના વાદળો ઘેરાતાં રાજકીય ગરમાવો જોવા મળ્યો. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યરીએ ચૂંટણી પંચને પત્ર લખ્યો જેને મીડિયા સમક્ષ જારી કર્યો. જેમાં રાજ્યપાલે વિધાનસભાની 9 ખાલી બેઠક પર જલ્દી ચૂંટણી યોજવાની ભલામણ કરી હતી. જો કે રાજકીય મથામણ વચ્ચે આજે સવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે. જેને લઇને રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
કેમ ખુરશી પર જોવા મળ્યાં સંકટના વાદળો?
ઉદ્ધવ ઠાકરેએ 28 નવેમ્બર 2019ના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. બંધારણ કલમ 164 (4) મુજબ કોઇપણ મંત્રી (કે મુખ્યમંત્રી) પદની શપથ લે ત્યારબાદ 6 મહીનાની અંદર કોઇપણ વિધાનસભા અથવા વિધાન પરિષદના સભ્ય બનવું ફરજિયાત છે. ઉદ્ધવ ઠાકરે ચૂંટણી લડયા વગર સીધા CM બન્યા, જેને લઇને તેમના પર પણ આ નિયમ લાગુ પડે છે. ઉદ્ધવ ઠાકરેએ 27 મે 2020 પહેલા પરિષદમાં ચૂંટાવું ફરિજિયાત છે.
કોરોનાએ બગાડ્યું હતું ગણિત
આ વચ્ચે 2020માં વિધાન પરિષદમાં બે બેઠક પર ચૂંટણી યોજાઇ હતી પરંતુ ઉદ્ધવ ઠાકરે ચૂંટણી લડ્યાં નહી. 24 માર્ચના રોજ વિધાન પરિષદની ધૂલે, નાંદુરબાર બેઠક પર પેટાચૂંટણી યોજાવાની હતી. 24 એપ્રિલના રોજ વિધાન પરિષદની 9 વધુ ખાલી બેઠક ખાલી થઇ. એવામાં ઉદ્ધવ ઠાકેરેને આશા જાગી હતી કે આ 9માંથી કોઇ બેઠક પર ચૂંટણી જીતી જશે અને મુખ્યમંત્રી બન્યાં રહેશે. આ વચ્ચે કોરોના વાયરસે બધુ ગણિત બગાડી નાંખ્યું. જો કે આ બધા વચ્ચે અંતે ચૂંટણી પંચે 9 બેઠક પર MLC ચૂંટણી યોજવાની જાહેરાત કરી ઉદ્ધવ ઠાકરેને રાહત આપી છે.
ચૂંટણી આયોગના નિર્ણયથી ઉદ્ધવ ઠાકરેને રાહત
ચૂંટણી પંચના નિર્ણય બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ઇચ્છતા હતા કે રાજ્યપાલ પોતાના કોટાની બે બેઠકમાંથી એક પર તેમનું નામાંકિત કરે. જો કે તેને લઇને મહારાષ્ટ્ર કેબિનેટમાં બે વખત પ્રસ્તાવ મોકલવામાં આવ્યો, પરંતુ રાજ્યપાલે તેના પર કોઇ નિર્ણય લીધો નહીં.
જો કે ત્યારબાદ રાજ્યપાલે MLC નામાંકિત પરનો નિર્ણય રદ્દ કરી ચૂંટણી પંચને ભલામણ કરી મહારાષ્ટ્ર વિધાનસભા પરિષદની 9 ખાલી બેઠક પર ચૂંટણી યોજવા અંગે ભલામણ કરી. જેને લઇને ચૂંટણી આયોગે કોરોનાને ધ્યાનમાં લઇને જરૂરી ગાઇડલાઇન્સનું પાલન કરી તારીખ જાહેર કરી.