કોરોનાને કારણે પરિસ્થિતિ ખરાબ થતા ચૂંટણી પંચે બંગાળમાં રોડશો, બાઈક કે સાયકલ રેલી પર પ્રતિબંધ મૂકીને જનસભામાં ફક્ત 500 લોકોને મંજૂરી આપી છે.
રોડશો, બાઈક કે સાયકલ રેલી પર પ્રતિબંધ
જનસભા કે રેલીમાં 500 લોકો જ હાજર રહી શકશે
મોકળી જગ્યા હશે તો જ જનસભાની મંજૂરી મળશે
મોડે મોડે પણ ચૂંટણી પંચ જાગ્યું છે તેવુ કહેવું ખોટું નથી. કારણ કે પહેલાના છ તબક્કામાં બેફામ રેલીઓની મંજૂરી આપી, મોટી મોટી ભીડ જોવા મળી જેને કારણે કોરોના વધારે પ્રમાણમાં ફેલાયો. ચૂંટણી પંચે બંધારણની કલમ 324 હેઠળ રોડશો,પદયાત્રા,વાહન રેલી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવી દીધો છે.
જનસભા કે રેલીમાં 500 લોકો જ હાજર રહી શકશે.
ચૂંટણી પંચે જણાવ્યું કે કોઈ પણ જનસભા કે રેલીમાં 500 લોકો જ હાજર રહી શકશે. જોકે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે મોકળી જગ્યાની ઉપલબ્ધતા હશે તો જ 500 લોકોની રેલીને મંજૂરી અપાશે. પંચે જણાવ્યું કે જે રોડશો કે બાઈક રેલીને પહેલેથી મંજૂરી અપાયેલી છે તે રદ કરાય છે. અને જનસભા માટેની મંજૂરી પણ નવા આદેશ પ્રમાણે સુધારિત કરાશે.
પીએમ બંગાળમાં 4 રેલી કરવાના હતા હવે રદ કરી
પીએમ મોદી આવતીકાલે બંગાળમાં 4 રેલી કરવાના હતા. મુર્શીદાબાદ, માલદા, બિરભૂમ અને કોલકાતા સાઉથમાં એક-એક રેલીને સંબોધિત કરવાના હતા તે માટેની તમામ તૈયારીઓ પણ થઈ હતી જે હવે પીએમ દ્વારા રદ કરી નાખવામાં આવી છે. પીએમ મોદીએ બંગાળની કોઈ રેલી રદ કરી હોય તેવી આ પહેલી ઘટના છે. કોરોનાની ભીષણ મહામારીની વચ્ચે પણ પીએમ મોદીએ ચૂંટણી રેલીઓ ચાલુ રાખી હતી અને તેથી આ મુદ્દે ખૂબ ઉગ્ર ટીકા-ટીપ્પણીનો દોર ચાલ્યો હતો. પીએમ મોદીએ બંગાળની રેલીઓ રદ કરવી જોઈએ પણ તેવી પણ મોટી માંગ ઉઠી હતી.