ગુજરાત સરકારે અનામતને લઇને ખૂબ મહત્વનો નિર્ણય કર્યો છે. દેશમાં અપાયેલાં કેન્દ્રનાં નિર્ણયને લાગું કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બનશે. આવતી કાલથી ગુજરાતમાં EBC લાગું થશે. આર્થિક રીતે નબળાં લોકોને અનામતનો લાભ મળશે. 14 જાન્યુઆરીથી આવતી કાલનાં સોમવારથી EBCનો લાભ મળશે.
સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં આનો વિશેષ લાભ મળશે. 8 લાખ કરતાં વાર્ષિક ઓછી આવક ધરાવનારને આ EBCનો લાભ મળશે. 5 એકર કરતાં ઓછી જમીન ધરાવનાર માલીકને આનો લાભ મળશે.
મહત્વનું છે કે 14 જાન્યુઆરી 2019 પહેલાં સરકારી ભરતીની જે પરીક્ષાઓ આપવામાં આવી હશે તેમને આ લાભ આપવામાં નહીં આવે. જો કે 14 તારીખ બાદ લેનાર પરીક્ષાઓમાં આ લાભ આર્થિક રીતે પછાત સવર્ણોને આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે હવે આગામી નજીકનાં સમયગાળામાં લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે મોદી સરકારે સવર્ણોને ધ્યાને રાખીને ખૂબ મોટો નિર્ણય કર્યો છે અને સવર્ણોની અનામત મંજૂર કરી છે. કેન્દ્રીય કેબિનેટે આ નિર્ણય લેતાં સવર્ણોને આર્થિક ધોરણે 10 ટકાની અનામત મંજૂર કરી દેવાઇ છે. લોકસભા ચૂંટણી પહેલાં જ મોદી સરકારે મોટી જાહેરાત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાટીદાર અને મરાઠા અનામતનાં આંદોલનને લઈને મોદી સરકાર પર પહેલેથી જ પ્રેશર હતું. ત્યારે તેને ધ્યાને લાગી રહ્યું હતું કે મોદી સરકાર આ મુદ્દે કોઈ એક્શન લે. આવામાં આખરે ચૂંટણી નજીક આવતાં મોદી સરકારે સવર્ણ જાતિઓને લઈને અનામત જાહેર કરી દીધી.
જેમાં મુખ્યત્વે પાટીદાર રાજપૂતો અને બ્રાહ્મણો જેવી સવર્ણ જાતિઓને આ આર્થિક અનામતનો લાભ મળશે. આ જાહેરાતથી શિક્ષણ અને આર્થિક ધોરણે કેન્દ્રીય સ્તરે લાભ મળશે. આ સવર્ણોની અનામતની જાહેરાતથી અનામત ક્વૉટા 59 ટકા થશે.
મોદી કેબિનેટની મંજૂરીઃ
આગામી સમયમાં લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે મોદી સરકારે સવર્ણોની અનામતને લઇને સૌથી મોટો નિર્ણય લીધો હતો અને સવર્ણોની અનામત મંજૂર કરી હતી. કેન્દ્રીય કેબિનેટે નિર્ણય લેતાં સવર્ણોને આર્થિક ધોરણે 10 ટકાની અનામત મંજૂર કરી હતી.
લોકસભાની મંજૂરીઃ
ત્યાર બાદ સામાન્ય વર્ગને આર્થિક રીતે નબળાં લોકોને શિક્ષા અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત આપવમાં સંવિધાન 124માં સંશોધન બિલને મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન બિલનાં સમર્થનમાં વધુ મતદાન થતાં લોકસભામાં બિલ પાસ થયું હતું.
રાજ્યસભાની મંજૂરીઃ
સંસદનાં શિયાળુસત્રનો 18માં દિવસે રાજ્યસભાની બેઠક થઈ હતી. રાજ્યસભામાં સામાન્ય વર્ગને 10 ટકા અનામત આપવાના મામલે 124મું બંધારણ સંશોધન બિલ રજૂ કરાયું હતું. જેનાં પાસ થવા પર સૌ કોઈની નજર હતી. લગભગ 8 કલાક જેટલી લાંબી ચર્ચા બાદ આખરે રાજ્યસભામાં પણ આ સંશોધન બિલ પાસ થયું હતું.