બદલાતી દુનિયાની સાથે તહેવારોની પસંદગી પણ બદલાઇ છે. તહેવારોમાં પીરસાતુ ભોજન પણ પરિવર્તન પામ્યુ છે. આજે આપણે આપણી મરજી મુજબનુ ફુડ ભગવાનને પ્રસાદી રુપે આપી રહ્યા છીએ. ગણેશજીનું નામ આવે અને લાડુ મોદક ન હોય તેવું શક્ય નથી.
હવે ગણેશોત્સવ શરુ થવા જઇ રહ્યો છે. આપણે ભગવાનને કપ કેક અને બ્રાઉની ધરાવતા પણ વિચાર કરતા નથી. ભારતીય મીઠાઇઓનું સ્થાન ચોકલેટોએ લીધુ છે. ભારતીય ખોરાક અને ભારતીય તહેવારો પાછળ અદભુત સાયન્સ હતુ. અહીંની આબોહવા મુજબ આપણા ખોરાકની વિશેષતા છે. ગ્લોબલાઇઝેશનના ચક્કરમાં આપણે આ બધુ ભુલી ગયા છીએ.
ગણેશજીને લાડુ બહુ ભાવે તેથી ઘણા ઘરોમાં ગણેશચતુર્થીએ ચુરમાના લાડુ કે મોદક બને છે, ખાસ કરીને મહારાષ્ટ્રીયન પરિવારોમાં આ પ્રસાદી અચુક હોય. કેટલાક કહેવાતા હેલ્થ કોન્શિયસ લોકો એવા પણ હોય છે જેને વિચાર આવે છે કે શુગર વધી જશે તો, લાડુ ભારે પડશે કે પચશે નહી તો. આમ વિચારીને ગિલ્ટી સાથે લાડુ ખાય છે. ખાસ કરીને ઘઉંના કકરા લોટ, ગોળ, ઘી, જાયફળ અને ઇલાઇચીના બનતા લાડુ એકદમ પૌષ્ટિક છે. આપણી ઇચ્છા મુજબ તેમાં તલ કે ડ્રાયફ્રુટ્સ નાંખી શકાય છે.
સુપર હેલ્ધી છે લાડુ
ઘઉંનો કકરો લોટ હોય એટલે તેમાં કોમ્પલેક્સ કાર્બ્સ હોય છે. તેમાં ભરપુર ફાઇબર હોય છે. તેની સાથે ગળ્યામાં ગોળ હોય છે. તેમાં પણ ઘણા પોષકતત્વો હોય છે. જ્યારે ઘી સાથે ગોળ પેટમાં જાય છે ત્યારે તેની શુગર તરત જ રીલીઝ થતી નથી અને ધીમે ધીમે થાય છે. વળી ઇલાઇચી અને જાયફળ વ્યક્તિનું પાચન સુધારે છે. આ સીઝનમાં પાચનશક્તિ મંદ હોય છે. આ બધી વસ્તુઓ પાચનશક્તિ તેજ બનાવે છે. વ્યક્તિને અંદરથી સ્ટ્રોંગ રાખવા આ બધુ ઉપયોગી છે.
મોદક પણ આરોગ્યપ્રદ
મરાઠીઓ જે મોદક બનાવે છે તે સ્ટીમ કરીને બનાવવામાં આવે છે. તેનો મુખ્ય ભાગ ચોખાના લોટમાંથી બને છે. અંદર પુરણ તરીકે ડ્રાયફ્રુટ્સ, નારિયેળ, ગોળ કે ખાંડ અને માવો કે શિંગદાણામાંથી કોઇ પણ વસ્તુનુ મિશ્રણ હોય છે. મોદકમાં વપરાતી બધી સામગ્રી હેલ્ધી હોય છે. વળી તેને તળવાના હોતા નથી. તેના પુરણમાં બધા જ વિટામીન્સ, ગુડ ફેટ્સ, પ્રોટીન અને એનર્જી રહેલા છે. ખાતી વખતે ગરમ મોદક પર ઘી નાંખીને ખવાય છે. જેથી તે સુપાચ્ય બને છે.
દેશી મીઠાઇ વધુ સુપાચ્ય
દેશી મીઠાઇને લોકો ખુબ હેવી માને છે, પરંતુ હકીકત એ છે કે તેમાં કેક, પેસ્ટ્રી, બ્રાઉનીઝ કે ચોકલેટ કરતા ઓછી કેલરી હોય છે. નિષ્ણાતો હંમેશા કહેતા આવ્યા છે કે ઘી ગુડ ફેટ છે. તે યોગ્ય માત્રામાં લેવામાં આવે તો તેનાથી શરીરને કોઇ નુકશાન થતુ નથી. તહેવારોમાં આપણા ઘરે દેશી મીઠાઇ અને નાસ્તા બનાવવાનો જે રિવાજ હતો તે બિલકુલ અનહેલ્ધી ન હતો.
અતિરેક ન કરો
કોઇ પણ વસ્તુ માપમા ખાવાથી ક્યારેય કોઇ સમસ્યા થતી નથી. ચુરમાના લાડુ અને મોદક સો ટકા ખાઇ શકાય, પરંતુ તેનો અર્થ એ નથી કે તેની પર તુટી પડવુ. દિવસનો એક લાડુ ઘણો છે. 5-6 લાડુ ઝાપટશો તો સો ટકા અનહેલ્ધી ગણાશે. રોજનો એકાદ લાડુ ખાઇ શકાય. ચુરમાના લાડુ કે મોદક ત્યારે જ હેલ્ધી બને છે જ્યારે તે ઘરે બનાવાય. બહારના કૃત્રિમ રંગ ભેળવેલા અને ખાંડથી ભરપુર એવા લાડુ કે મોદક ખાવા સુપર અનહેલ્ધી છે.