ભારતમાં 20 એપ્રિલથી લોકડાઉનમાં થોડી છૂટ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ આ દરમિયાન WHOએ એકવાર ફરી ચેતવણી આપી છે. તેનું કહેવું છે કે, કોરોના વાયરસને ફેલાતા રોકવા માટે પ્રતિબંધોમાં છૂટ આપવામાં ઉતાવળ કરવી ખતરનાક સાબિત થઈ શકે છે. તેનાથી સંક્રમણનો ખતરો વધી શકે છે.
હાલ દેશમાં લોકડાઉન ચાલુ છે
ત્યારે લોકડાઉનમાં છૂટને લઈને WHOએ આપી ચેતવણી
લોકડાઉનમાં છૂટ આપવાથી ખતરો વધી શકે છે
WHOએ આ ચેતવણી એવા સમયે આપી છે જ્યારે સરકાર પ્રતિબંધોમાં છૂટ આપીને આર્થિક પ્રવૃત્તિઓ ચાલુ કરવાની યોજના બનાવી રહી છે. ડો. તાકેશી કાસેઈએ કહ્યું કે, અત્યારે છૂટ આપવી યોગ્ય નથી. આપણે આવનારા સમયમાં જીવન જીવવાની નવી રીત અપનાવવાને લઈને પોતાની જાતને તૈયાર કરવાની જરૂર છે.
ડો. તાકેશીએ આગળ કહ્યું, સરકારે વાયરસ ન ફેલાય તે માટે સાવચેત રહેવાની જરૂર છે અને લોકડાઉન અને સામાજિક અંતરને લઈને ધીરે-ધીરે છૂટ આપવી જોઈએ. આ સાથે જ લોકોએ સ્વસ્થ રહેવા અને અર્થવ્યવસ્થાને ચાલુ રાખવા માટે સંતુલન જાળવી રાખવાની જરૂર છે.
ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 18,000ને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1,336 કેસ સામે આવ્યા છે જ્યારે 47 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. હાલ ભારતભરમાં કોરોનાના 18,601 કેસ છે.