આજે સવારે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, આ ભૂકંપને કારણે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા.
મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભૂકંપને કારણે ધ્રુજી ધરા
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 નોંધાઈ
કેન્દ્રબિંદુ ગ્વાલિયરથી 28 કિલોમીટર દૂર
મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર મધ્ય પ્રદેશમાં આવેલા ભૂકંપના આંચકાની તીવ્રતા 4.0 નોંધાઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, ભૂકંપ સવારે 10.31 વાગ્યે આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ગ્વાલિયરથી 28 કિલોમીટર દૂર જમીનથી 10 કિમી અંદર નોંધાયું છે. બીજી તરફ છત્તીસગઢના અંબિકાપુર સહિત આસપાસના વિસ્તારોમાં સવારે 10.39 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તેનું કેન્દ્ર સૂરજપુરના ભાટગાંવથી 11 કિમી દૂર હોવાનું જાણવા મળ્યું છે.
— National Center for Seismology (@NCS_Earthquake) March 24, 2023
મંગળવારે પણ આવ્યો હતો ભૂકંપ
આ પહેલા મંગળવારે રાત્રે ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6 હતી. ભૂકંપની અસર દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, હિમાચલ, પંજાબ, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં જોવા મળી હતી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદુ કુશ પ્રદેશ હતો. આ આંચકા બાદ લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા. જોકે, ભૂકંપના કારણે કોઈપણ પ્રકારના જાનમાલના નુકસાનના સમાચાર સામે નથી આવ્યા.