ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂકંપના આંચકાઓ યથાવત, ભચાઉમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતા નોંધાઈ છે
કચ્છમાં ભૂકંપના આંચકા યથાવત
ભચાઉમાં આવ્યો ભૂકંપનો આંચકો
રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતા નોંધાઈ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂકંપના આંચકાઓ યથાવત છે. જેમાં ખાસ કરીને કચ્છ અને અમરેલીમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. વાત જાણે એમ છે કે, આજે કચ્છમાં ફરી એકવાર ધરતીકંપ આવ્યો હતો. નોંધનીય છે કે, થોડા દિવસ અગાઉ પણ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો પોતપોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 4, 2023
ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો
કચ્છમાં ફરી ધરા ધ્રુજી છે. ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મળતી વિગતો મુજબ રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતા નોંધાઈ છે. ભચાઉથી 22 કિલોમિટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયુ છે. જોકે આ આંચકાથી હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
થોડા દિવસ અગાઉ પણ ભૂકંપ આવ્યો હતો
કચ્છમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. અગાઉ 27 ફેબ્રુઆરીએ 10 વાગ્યા આસપાસ કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.8 નોંધાઈ હતા. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ લખપતથી 62 કિલોમીટર દૂર નોંધાયું હતું.
કચ્છ અને દેશમાં આવતા ભુકંપના આંચકા અંગે જાણવાનો પ્રયત્ન કર્યો હતો
કચ્છ સહીત દેશમાં વિવિધ શહેરોમાં એકાએક ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે. કચ્છ વાગડ ફોલ્ટ લાઈનથી હિમાલયન ફોલ્ટલાઈનમાં આંચકા નોંધાઈ રહ્યા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2 થી 5 નોંધાઈ રહી છે. સમગ્ર મામલે Vtv ન્યૂઝની ટીમે કચ્છ યુનિવર્સીટીના જિયોલોજિકલ વિભાગના વડા અને સંશોધન કરતા ર્ડા. મહેશ ઠક્કરની ખાસ મુલાકાત લીધી અને દેશમાં આવતા ભુકંપના આંચકા અંગે જાણવાનો પ્રયત્ન હાથ ધર્યો હતાં.
શરૂઆતમાં માત્ર કચ્છ વાગડ ફોલ્ટ લાઈન સક્રિય હતીઃ ર્ડા.મહેશ ઠક્કર
Vtv ન્યુઝ સાથે વાતચીત કરતા ડો .મહેશ ઠક્કરે જણાવ્યું હતું કે,શરૂઆતમાં માત્ર કચ્છ વાગડ ફોલ્ટ લાઈન સક્રિય હતી. પરંતુ હવે હિમાલયન ફોલ્ટ લાઈન પણ સક્રિય બની છે. તે ઉપરાંત ઇન્ડિયન પ્લેટની અરેબિયન સમુદ્રમાં દબાણ યુક્ત બળો વધતા ઇન્ડિયન પ્લેટને ધક્કો લાગે છે. જેથી દેશમાં વિવિધ સ્થળો પર આંચકા નોંધાઈ રહ્યા છે. વર્તમાનમાં અરેબિયન સમુદ્રમાં ફેરફારને પગલે ઇન્ડિયન પ્લેટની મુવમેન્ટ ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. જેથી સૌ લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.
ભૂકંપ આવે તો શું કરવું ?
ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.
ભૂકંપની તીવ્રતા કેવી રીતે મપાઇ છે?
7.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ જાય છે. ત્યારે 2.9 રિક્ટર સ્કેલ ભૂકંપ આવવા પર સામાન્ય ધ્રૂજારી થાય છે. જ્યારે 9ની તીવ્રતા પર તબાહી મચી જાય છે. આપણે બતાવીએ ભૂકંપની કેટલી તીવ્રતા આવાથી શું થઇ શકે અને તેની અસર કેવી થાય.
0થી 2 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતા તેની અસર ઓછી થાય છે. આંચકાનો અનુભવ થતો નથી. માત્ર સીઝ્મોગ્રાફથી જ જાણી શકાય છે.
2થી 2.9 રિક્ટર સ્કેલઃ આ ભૂંકપ આવવાથી સામાન્ય આંચકો અનુભવાય છે. થોડી અસર થાય છે.
3થી 3.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતાં પંખા અને ઝુમર હલવા માંડે છે. આવા આંચકાથી વસ્તુઓ વેર વિખેર થઇ જાય છે. તમારી બાજુમાંથી કોઇ ટ્રક પસાર થયો હોય તેવી અસર થાય છે.
4થી 4.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ એ સાવધાનનો ઇશારો આપે છે. દિવાલોમાં તિરાડો પડી શકે છે. કાચા મકાનો નીચે પડે છે. બારીઓ તૂટી શકે છે. દીવાલો પર લટકાવેલી વસ્તુઓ નીચે પડી શકે છે.
5થી 5.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ ખતરનાક સાબિત થાય છે. ફર્નિચર તેની જગ્યા પરથી હલવા માંડે છે. વધુ નુકશાન થાય છે. ફર્નિચર હલવાથી નાની મોટી ઇજાઓ પણ પહોંચે છે.
6થી 6.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ બહુજ ખતરનાક માનવામાં આવે છે. આ આંચકો આવાથી કાચી ઇમારતો વધુ પડે છે. જેથી જાનમાલને વધુ નુકશાન થાય છે. ઇમારતોના ઉપરના માળને નુકસાન થઇ શકે છે. ઇમારતોમાં તિરાડો પડી શકે છે.
7થી 7.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ શકે છે. જમીનની અંદરના પાઇપ ફાટી જાય છે. આ ભૂકંપ આવાથી વધુ તબાહી મચાવી છે. આવો ભૂકંપ ગુજરાતમાં વર્ષ 2001માં ભૂજમાં આવ્યો હતો. અને વર્ષ 2015માં નેપાળમાં આવ્યો હતો. આ ભૂકંપે તબાહી મચાવી દીધી હતી.
8થી 8.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવાથી સંપૂર્ણ વિનાશ કરી દે છે. ઇમારતો સહિત પુલ પડી જાય છે.
9 અને તેનાથી વધુ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર સંપૂર્ણ તબાહી સર્જાઇ શકે છે. કોઇ મેદાનમાં ઉભા હોઇએ તો તેને ધરતી લહેરાતી જોવા મળે. સમુદ્ર નજીક હો તો સુનામી આવે. ભૂકંપમાં રિક્ટર દરેક સ્કેલના મુકાબલે 10 ગણો વધુ ખતરનાક હોય છે.