જામનગરમાં છેલ્લા થોડા સમયથી ભૂંકપના આંચકાનું પ્રમાણ વધ્યું છે. થોડા દિવસ અગાઉ ઉપરાઉપરી 3.3ની તીવ્રતાના બે ભૂકંપના આંચકા નોંધાયા હતા. ત્યારે શુક્રવારે મોડી રાત્રે ફરી 3.2ની તીવ્રતાના આંચકા આવતા દોડધામ મચી ગઇ હતી.
છેલ્લા 15 દિવસથી સતત જામનગરના કેટલાક ગામોમાં આવે છે ભૂકંપ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ખાનકોટડા સહિતના ત્રણથી ચાર ગામોમાં સતત છેલ્લા 10થી 15 દિવસથી ભૂકંપના આંચકાઓ દિવસ-રાત અનુભવાતા ગ્રામજનોમાં ડરનો માહોલ છવાયો છે. ત્યારે ફરી કાલાવડ-જામનગર પંથકમાં ભૂકંપનાં આંચકા આવ્યા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ છે.
ભૂકંપના કારણે ગ્રામ્ય પંથકમાં દોડધામ થઇ ગઇ હતી. બાંગા, બેરાજા, ભલસાણ, સરાપાદર ગામમાં પણ ભૂકંપના આચકા અનુભવાયા હતાં. તેમજ લલોઈ, ખંઢેરા અને ખાનકોટડા ગામની ધરા પણ ધ્રૂજી હતી. આ અગાઉ એક અઠવાડિયા પહેલા પણ ભૂકંપના આંચકા આવ્યા હતાં.
છેલ્લા 10થી 15 દિવસથી અને રાત્રીના સમયે પણ ભૂકંપના આંચકા આવતા હોવાના કારણે ગ્રામજનોમાં ભય ફેલાયો છે. ભૂકંપના આંચકાના કારણે કાચા મકાનોને ભારે નુકસાની થઇ રહી છે. તો પાકા મકાનોમાં પણ તિરાડો પડતી હોવાની વ્યાપક રાવ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે.